નવી દિલ્હી,
ચાલુ વર્ષના અંતે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન ઈલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ શનિવાર બપોરે ૧૨.૩૦ વાગ્યે ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે, જેમાં આ તારીખોનું એલાન કરાશે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં આ જ વર્ષના અંતમાં વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે, ત્યારે આ રાજ્યોમાં ચૂંટણી થવાનું નક્કી જ છે. જયારે બીજી બાજુ તેલંગાણાને લઇને પણ ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ દ્વારા પોતાની સરકારના કાર્યકાળ પહેલા જ વિધાનસભા ભંગ કરવામાં આવી ચુકી છે, ત્યારબાદ હવે રાજ્યમાં વિધાનસભાના નિર્ધારિત સમય પહેલા જ ચૂંટણી યોજાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
ભાજપ માટે પાંચ રાજ્યોની ચૂંટણી છે અગ્નિપરીક્ષા સમાન
૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન જોવા મળી રહી છે, કારણ કે, આ રાજ્યોની ચૂંટણીમાં જીત મેળવી સિહાસન પર બિરાજમાન થનારી પાર્ટી લોકસભા ચૂંટણીમાં પોતાનો પ્રતિભાવ દર્શાવી શકે છે.
આ પાંચ રાજ્યોની વાત કરવામાં આવે તો, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારથી જ જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા મોટા રાજ્યોમાં ભાજપની સરકાર છે, જયારે મિઝોરમમાં કોંગ્રસ સત્તા પર છે.