નવેમ્બર 2016માં કેન્દ્ર સરકારના નોટબંધીના ફેંસલાથી નાણાકિય વર્ષ 2016-17 દરમિયાન દેશના વિકાસ દરને 7.3 ટકાનું નુકસાન પહોંચ્યું છે. આ નુકસાન દેશના એ જિલ્લાઓએ ઉઠાવવું પડ્યું છે જે અસંગઠિત ક્ષેત્રમાં કારોબાર માટે મહત્વના છે. વિશ્વ બેંકનું આ આકલન નોટબંધીના ફેંસલાથી ભારતીય અર્થવ્યવસ્થાને થયેલા નુકસાન પર કર્યું છે.
મહત્વનું છે કે વિશ્વ બેંકે આ આકલન માટે આર્થિક ગતિવિધિઓ માપવા માટે સાંજના અને રાતના સમયે વીજળીની તીવ્રતા નું અધ્યયન કર્યું હતું. વિશ્વ બેંકના જણાવ્યા મુજબ સાંજે અને રાતના સમયે વીજળીની તીવ્રતા આર્થિક ગતિવિધિ અને વિકાસ દર માપવા માટેનો માપદંડ છે. કારણ કે ઉર્જા ખપત અને ઉત્પાદન એક બીજા સાથે જોડાયેલા છે.
વિશ્વ બેંકનો આ રિપોર્ટ તૈયાર કરવાનું કામ સીએમ બેર, ઈશા છાબરા, વર્ગીલીયો ગાલડો અને માર્ટિન રામે કર્યું છે. એમના જણાવ્યા મુજબ આ આકલન એમણે દક્ષિણ એશિયાના મહત્વના જિલ્લાઓની ઉર્જા ખપત ને સેટેલાઇટ દ્વારા મળતી ઈમેજના આધાર પર કર્યું હતું. રિપોર્ટ તૈયાર કરવાવાળા બધા વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીઓ છે અને દક્ષિણ એશિયા એમનું કાર્યક્ષેત્ર છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી બાદ ભારતના મુખ્ય ઔદ્યોગિક જિલ્લાઓમાં સાંજે અને રાતે સેટેલાઈટમાં ઓછી ચમક નોંધાઈ હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ક્ષેત્રોમાં નોટબંધીના ફેંસલા બાદ ચમક ઓછી થઇ હતી અને બે મહિના સુધી ઓછી ચમક જ રહી હતી.