હિંમતનગર,
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો એ પકવેલા મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે પરંતુ ખરીદી ચાલુ કર્યાના પ્રથમ દિવસથી જ ખરીદી વિવાદોમાં સપડાઈ છે.
ત્યારે આજે હિંમતનગર માર્કેટયાર્ડમાં પણ મગફળી ખરીદી મોડી ચાલુ થતા અને ગોકળ ગાયની ગતિએ ચાલતી ખરીદીનો રોષ ઠાલવતા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને સાથેજ માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરીને વિરોધ દર્શવ્યો હતો.
ખેડૂતોને મેસેજ કરી વેચાણ અર્થે બોલાવવામાં આવે છે પરંતુ ધીમી ગતિના કામ કાજ થી બોલાવવામાં આવેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદી થતી નથી. એક તરફ ખેડૂતોને નવીન સિઝનની વાવણીનો સમય છે તો બીજી તરફ માર્કેટમાં મફગફળી વેચાણ માટે બે -બે દિવસ લાઇનમાં ઉભા રહેવાના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે.
એક તરફ સરકાર દ્વારા ખેડૂતોની મુશ્કેલીઓ નિવરવા માટે ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે તો બીજી તરફ સ્થાનિક તંત્ર અને ખરીદી કેન્દ્રની અસુવિધાઓના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે, ત્યારે હવે ખેડૂતોને આગામી સમય માં હજુ કેટલી મુશ્કેલીઓ સહેવી પડશે એતો આવનાર સમય જ બતાવશે.