નવી દિલ્હી,
દેશભરમાં ગર્ભવતી મહિલાઓના કરવામાં આવી રહેલા સિજેરીયન ઓપરેશન મામલે એક ચોકાવનારો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતમાં એક વર્ષમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં થયેલી ૭૦ લાખ પ્રસૂતિઓમાંથી ૯ લાખ પ્રસૂતિ વગર કોઈ યોજનાએ માત્ર સિજેરીયન દ્વારા જ કરાયા છે.
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ (IIM-A) દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારના ઓપરેશનન માત્ર પૈસા કમાવવા માટે કરવામાં આવ્યા છે અને તેને રોકી શકાતા હતા.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ પ્રકારના ઓપરેશનથી જન્મેલા બાળકોથી ન માત્ર લોકોના ખિસ્સા પર બોજ પડે છે પરંતુ સ્તનપાન, બાળકનું ઓછુ વજન, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ સામે આવે છે.
IIM-Aના ફેકલ્ટી મેમ્બર અંબરીશ ડોંગરે અને મિતુલ સુરાના નામના વિદ્યાથી દ્વારા કરાયેલા અધ્યયનમાં સામે આવ્યું છે કે, જે મહિલાઓ પ્રસૂતિ માટે પ્રાઇવેટ હોસ્પિટલની પસંદગી કરે છે, જેમાં સરકારી હોસ્પિટલની તુલનામાં વગર કોઈ યોજનાએ સિજેરીયનથી બાળકને જન્મ આપવાની આશંકા ૧૩.૫ થી ૧૪ ટકા સુધી વધુ હોય છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬ના ચોથા ચરણમાં જણાવ્યા મુજબ, દેશની પ્રાઈવેટ હોસ્પિટલમાં ૪૦.૯ પ્રસુતિ સિજેરીયન દ્વારા જયારે સરકારી હોસ્પિટલમાં આ દર ૧૧.૯ ટકા છે.
NFHSના આંકડાઓને ધ્યાનમાં રાખીને કરાયેલા IIM-A ના રિપોર્ટમાં સામે આવ્યું કે, કોઈ પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રાકૃતિક રીતે કરાયેલી પ્રસુતિનો ખર્ચ એવરેજ ૧૦,૮૧૪ રૂપિયા થાય છે, જયારે સિજેરીયન ઓપરેશનનો ખર્ચ ૨૩,૯૭૮ રૂપિયા થાય છે.