સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત 15 દેશોમાં પેટ્રોલની નિકાસ 34 રૂપિયા પ્રતિ લીટર અને 29 દેશોમા ડીઝલની નિકાસ 37 રૂપિયા પ્રતિ લિટરના દરથી કરવામાં આવી રહી છે.
એવો આરોપ લગાવાઈ રહ્યો છે કે ઘરેલુ ઉપભોક્તાઓ માટે પેટ્રોલિયમ ઉત્પાદનો પર વધારે ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. જયારે ખુબ જ સસ્તી કિંમતે આ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી રહી છે.
ભારત 15 દેશોને લગભગ 34 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે પેટ્રોલ વેચી રહ્યું છે, તેમજ 29 દેશોને 37 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે ડીઝલ વેચવામાં આવી રહ્યું છે. આ ખુલાસો આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી એક જાણકારીના આધાર પર પંજાબના લુધિયાણામાં રહેતા આરટીઆઈ કાર્યકર્તા રોહિત સભરવાલને મળવાથી થયો છે.
સમય સમય પર લોકો ચર્ચા કરતા રહે છે કે વિદેશોમાં પેટ્રોલ ડિઝલની કિંમત આપણા દેશ કરતા ખુબ ઓછી છે. સોશિયલ મીડિયા પર ખબર આવતા રાજનીતિ તેજ થઇ ગઈ છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આના પર ટ્વિટ કર્યું છે.
આ વિષે રોહિત સભરવાલે જણાવ્યું કે સરકારી માલિકીની મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ લિમિટેડ દ્વારા આરટીઆઈના આપવામાં આવેલા જવાબ મુજબ 01 જાન્યુઆરી 2018 થી 30 એપ્રિલ 2018 વચ્ચે પાંચ દેશોને પેટ્રોલ અને 29 દેશોને રીફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનો ની નિકાસ કરવામાં આવી હતી. આ સમય અવધિમાં પેટ્રોલ 32 થી 34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 34 થી 36 રૂપિયા પ્રતિ લીટરની કિંમતથી નિકાસ કરવામાં આવ્યા હતા. જોકે, આ સમય અવધિ દરમિયાન પેટ્રોલની કિંમત 69.97 રૂપિયા થી 75.55 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત 59.70 થી 67.38 રૂપિયા પ્રતિ લીટર રહી હતી.
ભારત ક્રૂડ ઓઈલની આયાત મોટી માત્રામાં કરે છે. અને રીફાઇન્ડ કરીને બીજા દેશોમાં નિકાસ કરે છે. મામલાની તપાસ કરતા જે તથ્યો સામે આવ્યા છે, એ હિસાબથી ભારતમાં જે ટેક્સ લગાવવામાં આવે છે, તે ટેક્સ નિકાસ સમયે લગાવી શકાતા નથી. આ કારણે ભારતમાં ઉપભોક્તાઓએ પેટ્રોલ ડીઝલની કિંમત વધારે ચૂકવવી પડે છે.