નવી દિલ્હી,
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના જર્મનીના વિદેશ પ્રવાસે છે. યાત્રાના પહેલા જ દિવસે મોદી સરકાર પર નોટબંધી અને દેશભરમાં સામે આવી રહેલી મોબ લીન્ચિંગની ઘટનાઓને લઇ હુમલો બોલ્યો હતો, ત્યારે બીજા દિવસે પણ તેઓએ પોતાના ભાષણમાં વર્તમાન સત્તાધારી સરકારને ઘેરી છે.
યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મોદી સરકાર પર દેશમાં રોજગારીનું સર્જન ન કરી શકવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે જણાવતા તેઓએ કહ્યું, “રોજગારીના મામલે ભારત સરકાર ચીનની આસપાસ પણ નથી”.
કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવતા કહ્યું, “ભાજપ અને RSS દેશમાં નફરત ફેલાવવાનું કામ કરી રહી છે, જયારે કોંગ્રેસ દેશમાં લોકો એકસાથે લાવવાનું તેમજ દેશને આગળ વધારવામાં વિશ્વાસ રાખે છે”.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, “વર્તમાન સમયમાં ભારત અને ચીન એશિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બંને અર્થવ્યવસ્થાઓ એક બીજા સામે મુકાબલો કરી રહી છે, પરંતુ આ દિશામાં ચીનની સરકારના રોજગારીના આંકડાને નજરઅંદાજ કરી શકાય નહિ”.
તેઓએ કહ્યું હતું કે, “ચીનની સરકાર પ્રતિદિન ૫૦ હજાર નવી નોકરીઓનું સર્જન કરે છે. આ તુલનામાં ભારતની મોદી સરકાર માત્ર ૪૫૦ જ નવી નોકરીઓ આપે છે”.
મહત્વનું છે કે, જર્મનીમાં પ્રવાસી ભારતીયોની એક સભાને રાહુલ ગાંધી સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન સભામાં ઉપસ્થિત ગેર-કોંગ્રેસી લોકો અંગે તેઓએ કહ્યું, “તેઓ પણ કોંગ્રેસની નીતિઓને સાંભળે અને સમજે કારણ કે તેઓની પાર્ટી દેશમાં જોડવાની રાજનીતિ પર કામ કરી રહી છે”.
આ ઉપરાંત તેઓએ સભામાં ઉપસ્થિત સીખ સમુદાયના લોકોને જર્મનીમાં ભારતનું નામ રોશન કરવા અંગે તેઓએ કહ્યું, “તેઓની પાર્ટી ગુરુનાનકના વિચાર પર ચાલે છે. જે રીતે સીખ સમુદાય દુનિયાભરમાં લંગરની વ્યવસ્થા કરે છે, તે જ વિચાર છે કે કોઈને પણ ભૂખ્યા ન રહેવું જોઈએ, કોંગ્રેસ પણ બધા માટે આ પ્રકારે કામ કરે છે”