દિલ્લી,
સુપ્રીમ કોર્ટ દ્વારા SC / STના એક્ટમાં કરવામાં આવેલા ફેરફાર બાદ દેશભરના દલિત સંગઠનો દ્વારા સોમવારે ભારતબંધનું એલાન બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દલિત આંદોલન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
બુધવારે રાજધાની દિલ્લીમાં આયોજિત એક કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું હતું કે, “તેઓની સરકારે બાબા સાહેબ આંબેડકરનું સમ્માન વધારવા માટે કામ કર્યું છે, તેટલું કામ કોઈ સરકારે નહિ કર્યું હોય”.
તેઓએ જણાવ્યું હતું કે, “આંબેડકરને રાજનીતિમાં લાવવાને બદલે તેઓના બતાવવામાં આવેલા માર્ગ પર ચાલવાની જરૂરત છે”.
પીએમ મોદીએ વધુમાં જણાવતા કહ્યું, “બાબા સાહેબની યાદમાં અનેક પરિયોજનાઓને પૂરી કરી અમારી સરકારે તેમને ઉચિત સ્થાન આપ્યું છે. ૨૬ અલીપુર રોડ સ્થિત જે મકાનમાં બાબા સાહેબે અંતિમ શ્વાસ લીધ હતા, તેને આંબેડકર જયંતીની પૂર્વસંધ્યા પર રાષ્ટ્રને સોપવામાં આવશે”.
દિલ્લી વેસ્ટર્ન કોર્ટ એનેકસી ભવનના ઉદ્ઘાટન દરમિયાન તેઓએ કહ્યું, “લોકોએ આંબેડકરનું નામ લઈને માત્ર રાજનીતિ જ કરી છે. પરંતુ તેઓની સરકારે આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રને પૂર્ણ કર્યું, જેનો વિચાર એ સમયે લેવાયો હતો જયારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી સરકાર હતી. પરંતુ પૂર્વ UPA સરકારે વર્ષો સુધી આવી પરિયોજનાઓને આગળ વધારી ન હતી”.
મહત્વનું છે કે, ભારત બંધના આંદોલન દરમિયાન દલિત સમુદાય દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં ૧૦ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ નરેન્દ્ર મોદીની ચુપ્પી પર સવાલ કર્યા હતા.
મંગળવારે કર્ણાટકના શિમોગામાં એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર હમલો બોલતા જણાવ્યું હતું કે, “SC/ST એક્ટમાં એટલો મોટો બદલાવ તેમજ દેશભરમાં દલિતો અને આદિવાસીઓ પર થઇ રહેલા અત્યાચાર અંગે પ્રધાનમંત્રી મોદી તરફથી આ તરફ એક પણ નિવેદન કેમ નથી આવ્યું”.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ પીટીશન પર સુનાવણી કરતા ૧૯૮૯ના SC / ST અત્યાચાર નિવારણના એક્ટમાં તાત્કાલિક ધરપકડ ન કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટ દ્વારા SC / STના એક્ટ મુજબ દાખલ થયેલા કેસોમાં અગ્રિમ જમાનત આપવા માટે પણ મંજૂરી આપી હતી. જો કે ત્યારબાદ સોમવારે કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રિમ કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરી હતી.