નવી દિલ્હી,
તાજેતરમાં જ સમાપ્ત થયેલી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ વધુ એકવાર સટ્ટાબાજી પ્રકરણને લઇ ચર્ચામાં છે. IPL સટ્ટાબાજીમાં સલમાન ખાનના ભાઈ અને બોલીવુડના નિર્દેશક અરબાજ ખાનનું નામ સામે આવ્યું હતું, ત્યારે હવે મુખ્ય આરોપી સોનૂ જાલાને પોતાના નિવેદનમાં સટ્ટાબાજીના મામલે વધુ એક નામનો ખુલાસો કર્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સોનૂ જાલાને બોલીવુડ ફિલ્મ નિર્માતા સાજિદ ખાનના નામનો ખુલાસો કર્યો છે. સોનૂ જાલાને જણાવ્યું, “સાજિદે તેની સાથે સાત વર્ષ પહેલા સટ્ટાબાજી કરી હતી”.
સટ્ટાબાજ રિંગના માસ્ટરના આ નિવેદન બાદ સાજિદ ખાનને સમન મોકલ્યા બાદ પોલીસ તેઓને ક્યારેય પણ પૂછતાછ માટે બોલાવી શકે છે.
શું આ સટ્ટાબાજીનો મામલો ?
મહત્વનું છે કે, થાણે પોલીસ દ્વારા શુક્રવારે જ એક આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના મામલે બોલીવુડ અભિનેતા સામે સમન્સ જાહેર કર્યું હતું અને પૂછપરછ માટે હાજર રહેવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા શનિવારે હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન અરબાજ ખાને કબુલ્યું છે કે, “તેઓના સટ્ટાબાજી રિંગના લીડર સોનૂ જાલાન સાથે સંબંધ છે અને બંને એકબીજાને છેલ્લા પાંચ વર્ષથી જાણે છે”.
સાથે સાથે સલમાન ખાનના ભાઈએ સોનૂ સાથે સટ્ટાબાજીની વાતનો પણ સ્વીકાર કર્યો હતો અને IPL સટ્ટાબાજીમાં તે ૨.૮ કરોડ રૂપિયા હારી ગયો છે, એ પણ અરબાજ ખાને સ્વીકાર્યું હતું.
ક્રિકેટમાં સટ્ટાને લીગલ કેમ કરવામાં આવતું નથી ? : સલીમ ખાન
અરબાજ ખાનની સટ્ટાબાજીને લઇ સલીમ ખાને એક વેબસાઈટને કહ્યું હતું કે, “ધરપકડ કરાયેલા સટ્ટાબાજ સોનૂ જાલાનના તાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉદી અરબ અને દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશો સાથે જોડાયેલા છે, ત્યારે મારા પુત્ર અરબાજનું જ કેમ નામ સામે આવી રહ્યું છે”.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “ક્લબ અને જીમખાનામાં સટ્ટો (જુગાર) રમાય છે, ઘોડાની રેસની પરવાનગી છે, લોટરી પણ બરાબર છે, પરંતુ અમારા દેશમાં ક્રિકેટ પર સટ્ટેબાજી યોગ્ય નથી. આ વાત જાણતા હોવા છતાં ઘણા લોકો આ સટ્ટાબાજીમાં શામેલ છે. ક્રિકેટમાં સટ્ટાને લીગલ કેમ નથી કરતા ?.