અમદાવાદ: સુરત શહેરમાં શનિવારે મધરાત બાદ આવેલા વાવાઝોડાએ બે યુવાનોનો ભોગ લીધો છે. જો કે આ બંનેના મોત જે રીતે થયા તેવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે આમ છતાં પણ આ બંને ઘટના માટે વાવાઝોડું નિમિત્ત માનવામાં આવી રહ્યું છે. કારણ કે એક ઘટનામાં વાવાઝોડાના લીધે વીજળી ગુલ થઈ જવાથી પુરતી સારવાર ન મળી શકતા યુવાનનું મોત નીપજ્યું છે. જયારે અન્ય એક ઘટનામાં પરપ્રાંતીય યુવાનના મોઢામાં વરસાદી પાણી ભરાઈ જતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે મધરાત બાદ અને રવિવારે વહેલી સવારના સમયમાં સુરતમાં વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડું બે યુવાનોના મોતનું કારણ બની છે. જેમાંનો પ્રથમ બનાવ ડિંડોલી વિસ્તારમાં બન્યો હતો. જેમાં ડિંડોલીના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા સાગરભાઈ સુદામભાઈ નાયકને છાતીમાં દુઃખાવો થવાના કારણે અહીંની પલ્સ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
આ દરમિયાનમાં અચાનક વાવાઝોડું ફુંકાયું હતું. વાવાઝોડું આવતા ડિંડોલી વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજળી ગુલ થઈ જતાં પલ્સ હોસ્પિટલના આઈસીયુમાં દર્દીઓની સારવાર માટેના સાધનો કામ કરતા બંધ થઈ ગયા હતા. એટલું જ નહીં હોસ્પિટલમાં જનરેટરની સુવિધા પણ ઉપલબ્ધ ન હતી. જેના કારણે આઈસીયુમાં સારવાર લઈ રહેલા સાગરભાઈને જનરેટરની સુવિધા વિના પૂરતી સારવાર ન મળી શકી હતી જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
જયારે સુરત શહેરની અન્ય એક ઘટના પાંડેસરા વિસ્તારમાં બની હતી. જેમાં મૂળ ઓરિસ્સાના વતની અને પાંડેસરા વિસ્તારમાં ગણપતનગરમાં રહેતા ઉમાશંકર શામ પાત્રાનો મૃતદેહ વિનાયકનગરમાંથી મળી આવ્યો હતો. ઉમાશંકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ઉમાશંકરના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે, મૃતકના મોઢામાં કોઈ પણ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.