નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંના એક બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પહેલેથી જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે, હવે આ ડ્રીમ પ્રોજેક્ટને વધુ એક ઝટકો લાગ્યો છે.
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ફંડિંગ કરનારી જાપાનની કંપની જાપાન ઇન્ટરનેશનલ કો -ઓપરેશન એજન્સી (જીકા) દ્વારા બુલેટ ટ્રેન નેટવર્કનું ફંડિંગ રોકવામાં આવ્યું છે.
જાપાનની કંપની જીકા દ્વારા મોદી સરકારને જણાવવામાં આવ્યું છે કે, “આ પ્રોજેક્ટ પર આગળ વધતા પહેલા ભારતના ખેડૂતોની સમસ્યા પર નજર કરવાની જરૂરત છે”.
માનવામાં આવી રહ્યું છે કે, જીઆઈસીએ દ્વારા આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટમાં પ્રતિનિધિત્વ કરનારા વકીલ આનંદ વર્ધન યાગ્નિક દ્વારા જાપાનના રાજદૂત કેંજી હિરમાત્સું અને જીકાની ઇન્ડિયા ઓફિસના મુખ્ય પ્રતિનિધિ કત્સુઓ માત્સુમોતોને મોકલવામાં આવેલા પત્રના ૫ દિવસ બાદ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાપાનને મોકલવામાં આવેલા આ પત્રમાં તેઓએ એન્જસી તરફથી હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
ખેડૂતોની જમીન અધિગ્રહણના મામલે પ્રોજેક્ટ છે વિવાદોમાં
એક લાખ કરોડ રૂપિયાના ખર્ચવાળી બુલેટ ટ્રેન યોજનાનું નિર્માણ ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન અધિગ્રહણના મામલે વિવાદોમાં છે. આ વિવાદને જોતા કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે. નોધનીય છે કે, ૨૦૨૨ સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે, ત્યારે હવે જાપાનની કંપની દ્વારા ફંડ રોકાયા બાદ હવે આ પ્રોજેક્ટ હજી આગળ વધવાની સંભાવના છે.
શું છે જીકા ?
જાપાન ઇન્ટરનેશનલ કો -ઓપરેશન એજન્સી એટલે કે “જીકા”એ જાપાન સરકારની એક એજન્સી છે, તે જાપાનની સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સામાજિક-આર્થિક નીતિયો પર નિર્ધારણ કરે છે.
આ જ પ્રકારે ભારતમાં પણ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (AHRCL) ને ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી આપવામાં આવી છે.
જો કે હાલમાં કેન્દ્ર સરકારની આ એજન્સીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન અધિગ્રહણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શું છે ખેડૂતોની માંગ ?
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં શામેલ બંને રાજ્યોના ખેડૂતો પોતાની જમીન માટે વધારે વળતરની માંગણી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ જમીન આપવા માટે શરત રાખી છે કે, સરકાર આ વિસ્તારોમાં સામાન્ય સુવિધાઓની સાથે સાથે એક તળાવ, સ્કૂલ, ગામના કક્ષાની હોસ્પિટલ તેમજ ડોક્ટરની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.
શરતોનું પાલન થઇ રહ્યું નથી : એડવોકેટ
જો કે આ મામલે ખેડૂતોના વકીલ આનંદ વર્ધન યાગ્નિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ખેડૂતોની જમીન અધિગ્રહણ મામલે તેઓને જમીનના બદલામાં જે વળતર આપવા માટેની જે ગાઈડલાઈન્સ બનાવવામાં આવી હતી તેનું અનુસરવામાં આવતું નથી તેમજ જાપાનની કંપની જીકા દ્વારા આપવામાં આવનારા ફંડિંગ અંગે પણ શરતોનું પાલન થઇ રહ્યું નથી”.
મહત્વનું છે કે,,અમદાવાદ અને મુંબઈ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અંદાજે ૧૧૦ કિલોમીટરનો વિસ્તાર મહારાષ્ટ્રના પલઘરમાંથી પસાર થાય છે અને સરકારને આ જ વિસ્તારના ખેડૂતો પાસેથી જમીન લેવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જયારે ગુજરાત સરકારને પણ અંદાજે ૮૫૦ હેક્ટર જમીનનું અધિગ્રહણ આઠ જિલ્લાઓમાં ફેલાયેલા ૫૦૦૦ ખેડૂતોના પરિવારો પાસેથી કરવાનું છે.
ભારત અને જાપાન વચ્ચે આ પ્રોજેક્ટ અંગે કરાયેલા કરાર મુજબ, જાપાનથી લગભગ ૮૦,૦૦૦ કરોડ રૂપિયા મળવાના છે, જયારે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવશે.