દિલ્લી,
કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે બિગુલ ફૂંકી દેવામાં આવ્યું છે. કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકો માટે ૧૨ મેના રોજ મતદાન યોજાશે જયારે ૧૫ મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
ચૂંટણીપંચ દ્વારા જણાવ્યા મુજબ, કર્ણાટક રાજ્યમાં કુલ ૪ કરોડ ૯૬ લાખ વોટરો છે. ૯૭ ટકા મતદારો માટે પોતાના ફોટો આઈડી જાહેર કરવામાં આવી ચુક્યા છે તેમજ આ વિધાનસભાની ચૂંટણી માટે કુલ ૫૬ હજાર પોલીંગ બૂથ બનાવવામાં આવ્યા છે.
ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના મુખ્ય ચૂંટણી અધિકારી ઓમપ્રકાશ રાવતે જણાવ્યું હતું કે, આ વખતની કર્ણાટકની ચૂંટણી દરમિયાન ચૂંટણીમાં કરાતા ખર્ચ ઉપર તેમજ રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીના એક ઉમેદવાર ૨૮ લાખ રૂપિયા વધુ ખર્ચ કરી શકશે નહીં.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકની કુલ જનસંખ્યામાં ૭૨ ટકા લોકો મતદાતા છે. ચૂંટણીની તારીખનું એલાન થયાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યાં સુધી ચૂંટણીની પ્રક્રિયા સમાપ્ત ન થઇ જાય ત્યાં સુધી રાતના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૫ માંથી ૨૨૪ સીટો પર ચૂંટણી યોજાવાની છે જયારે એક સીટ એંગ્લો-ઇન્ડિયન સમુદાયના લોકો માટે બિનહરીફ હોય છે. બીજી બાજુ કર્ણાટકની ચૂંટણી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે. ચૂંટણીના પ્રચાર અને પ્રસાર માટે રાજ્યની તમામ પાર્ટીઓ અત્યારથી જ લાગી ગઈ છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમેયાના નેતૃત્વમાં કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા માટે એડી ચોટીનું જોર અજમાવી રહી છે જયારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને સીએમનો ખેસ પહેરાવ્યા બાદ બીજેપી પણ આ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. આ ઉપરાંત જેડીએસ બસપા સાથે ગઠબંધન કરીને આ ચૂંટણીના મેદાનમાં ઉતરી છે.
મહત્વનું છે કે, ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ ૨૨૪ સીટોમાંથી ૧૨૨ કોંગ્રેસ જીત્યું હતું જયારે ભાજપ ૪૦, જેડીએસ ૪૦ તેમજ BJPમાંથી બગાવત કરીને અલગ થયેલા બી એસ યેદિયુરપ્પાની પાર્ટી કેજેપીને માત્ર ૬ સીટ મળી હતી. જયારે અન્યના ફાળે ૧૬ સીટો આવી હતી.