ત્રિવેન્દ્રમ,
કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં પરિસ્થિતિ વધુ ને વધુ તંગ બની રહી છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આવેલા પુર અને ભૂસ્ખલનના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
કેરળમાં પાડી રહેલા સતત વરસાદના કારણે નદીઓ તુફાની બની ગઈ છે, જયારે બીજી બાજુ પુર અને ભૂસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં અત્યારસુધીમાં ૭૭ લોકોના મોત થઇ ચુક્યા છે.
ભારે વરસાદના કારણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જોતા રાજ્યની તમામ શૈક્ષણિક સસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જયારે યુનિવર્સીટીમાં પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે.
પેરિયાર નદી પાસે અંદાજે ૪૦૦૦ પરિવારોને રાહત શિબિરોમાં મોકલવામાં આવી ચુક્યા છે. જયારે અર્નાકુલમમાં પણ ૧૭,૯૭૪ લોકોને ૧૧૭ રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરાયા છે.
કેન્દ્રીયમંત્રી કે જે અલ્ફોન્સે જણાવ્યું હતું કે, “કેરળના ૧૨ જિલ્લા પૂરી રીતે પ્રભાવિત થયા છે. ૧૯૨૪ બાદ અત્યારસુધીનું આ સૌથી ભયંકર પુર છે. હું એ વડાપ્રધાન, ગૃહ મંત્રી અને રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી હતી. સેના, નેવી, વાયુસેના, કોસ્ટગાર્ડ અને NDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. હજી પણ પાણીનું સ્તર વધવાની આશંકા છે”.
જયારે કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને જણાવ્યું કે, “રાજ્યમાં ખતરનાક સ્થિતિ છે. અંદાજે તમામ ગામો આ પૂરથી પ્રભાવિત થયા છે. હું એ પીએમ, ગૃહમંત્રી અને રક્ષામંત્રી સાથે વાત કરી છે અને જરૂરત પ્રમાણે હજી વધુ હેલિકોપ્ટર લગાવવમાં આવશે”.
સતત વરસાદના કારણે ઉભી થયેલી વિકટ પરિસ્થિતિને જોતા કોંચી એરપોર્ટ પર શનિવાર સુધી વિમાનોની ઉડાન પર બ્રેક લગાવવામાં આવી છે, સાથે સાથે કોંચી મેટ્રો સેવા પણ બંધ કરવામાં આવી છે.
કેરળમાં જોવા મળી રહેલી વિકટ પરિસ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે વાત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ મુશ્કેલીના સમયમાં કેન્દ્ર સરકાર કેરળના લોકો સાથે મજબૂતીથી ઉભી છે અને તેઓએ હસંભાવ મદદ પહોચાડવા માટે પણ તૈયારી બતાવી છે.