ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે લોકભવનમાં કુંભ મેળા સાથે સંબંધિત વેબસાઈટ kumbh.gov.in અને સોશિયલ મીડિયા એપનો પણ શુભારંભ કર્યો. આ વેબસાઈટમાં કુંભ સાથે જોડાયેલી જાણકારીઓ આપવામાં આવી છે. આ સાથે જ 15 જાન્યુઆરી 2019થી શરુ થતા કુંભમાં શું આકર્ષણ હશે, શું કરવું, શું ન કરવું વગેરે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું કે ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓ અને આવતા વર્ષે થનારા કુંભ મેળાની તૈયારીઓને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. શ્રદ્ધાળુઓની સુવિધા અને કુંભ મેળા સાથે જોડાયેલી જાણકારી માટે વેબસાઈટ લોન્ચ કરી.
વિશેષ સ્નાનની તારીખ :-
મકર સંક્રાંતિ – 15 જાન્યુઆરી 2019
પોષ પૂર્ણિમા – 21 જાન્યુઆરી 2019
મૌન અમાવાસ્યા – 4 ફેબ્રુઆરી 2019
વસંત પંચમી – 10 ફેબ્રુઆરી 2019
માઘી પૂર્ણિમા – 19 ફેબ્રુઆરી 2019
મહાશિવરાત્રી – 4 માર્ચ 2019
વેબસાઈટ દ્વારા અલ્હાબાદની ખાસિયતોને પણ લોકો વચ્ચે રાખવામાં આવી છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા કેવી રીતે પહોંચવું, ક્યાં રોકાવું, પ્રયાગરાજનો નકશો તેમજ મોસમ વિશેની જાણકારીના વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિઝીટર સર્વિસમાં ઇમર્જન્સી સુવિધાઓ, ટ્રાફિક પ્લાન, સિક્યોરિટી સર્વિસ તેમજ આપત્તિ પ્રબંધ માટેની જાણકારી પણ આપવામાં આવી છે.