કોલકાતા,
ભાજપ અધ્યક્ષ અમિત શાહના પશ્ચીમ બંગાળના પ્રવાસ પહેલા પોસ્ટર વોર શરુ થઇ ગયું છે. અમિત શાહ રાજ્યના બે દિવસીય પ્રવાસ પર ગુરુવારે બીરભૂમ પહોચશે. આ પહેલા રામપુર હાટથી બીરભૂમનો પૂરો રસ્તો મમતા બેનર્જીના પોસ્ટર અને કટ-આઉટથી લદાઈ ગયો છે.
પુરા રસ્તામાં ટીએમસી નેતા અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા ટીએમસીના જીલ્લા અધ્યક્ષ અણુબ્રતના મોટા-મોટા કટ-આઉટ નજરે ચડે છે. યોજના મુજબ શાહ હેલિકોપ્ટર દ્વારા બીરભૂમ જશે. તેઓ ગુરુવાર સવારે તારાપીઠના પ્રસિદ્ધ કાલી મંદિરમાં દર્શન કરવા જશે. હેલીપેડથી કાલી મંદિર સુધીનો પાંચ કિલોમીટરનો પુરા રસ્તા પર મમતા બેનર્જીના પોસ્ટરો લદાયેલા જોવા મળે છે.
કેટલાક મોટા કદના કટ-આઉટમાં મમતા બેનર્જીની હસતી તસ્વીરો છે જેમાં તેઓ બંને હાથ જોડીને લોકોનું અભિવાદન કરી રહ્યા છે. આ પોસ્ટરોમાં બાંગ્લા અને હિન્દીમાં સંદેશ મુકવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે તારાપીઠમાં આવેલા બધા ભક્ત વૃંદોને હાર્દિક અભિનંદન.
ટીએમસીના જીલ્લા કાર્યાલય દ્વારા સોમવાર ખુબ ઝડપથી આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ મુજબ કાલી મંદિરમાં દર્શન બાદ અમિત શાહ લંચ પાર્ટીમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે અમિત શાહ પુરાલીયામાં એક જનસભામાં સંબોધન કરશે.
આ પોસ્ટર વોર પર ભાજપનું કહેવાનું છે કે શારદા ગોટાળાની તપાસનો રેલો પોતાના સુધી પહોચતા મમતા પીએમ મોદી સુધી પહોચવા માટે ઉત્સુક થઇ ગયા છે. ભાજપના બીરભૂમ પ્રભારી સ્વરૂપ સિન્હાએ કહ્યું કે તેઓ પીએમનું ધ્યાન આકર્ષિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. એટેલે હવે તેઓ અમિત શાહ સુધી પહોચવા માંગે છે. જેથી પરોક્ષ રીતે પીએમ મોદી સુધી પહોચી શકાય. અમે એમને પૂછવા માંગીએ છીએ કે આ માટે પૈસા ક્યાંથી આવ્યા? આ બધું જનતાને દગો આપીને કરાયેલા શારદા ગોટાળા દ્વારા મળેલા પૈસાથી કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે હાલમાં પંચાયત ચુંટણીમાં ટીએમસીને બીરભુમની બધી સીટો પર જીત મળી હતી. વિપક્ષ અહી જીલ્લા પરિષદની 42 માંથી એક પણ સીટ પર ઉમેદવારી કરી શકી નહતી.
આ પોસ્ટરો દ્વારા ટીએમસી ભાજપ અધ્યક્ષને પોતાની તાકાત દર્શાવવા માંગે છે.