નવી દિલ્હી,
પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આ દરમિયાન ૭ ડિસેમ્બરના રોજ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન યોજવાનું છે.
જો કે આ પહેલા બંને રાજ્યોમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારને લઇ પોતાની તાકાત અજમાવવામાં આવી હતી. આં દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓ દ્વારા ઝંપલાવવામાં આવ્યું છે.
આ વચ્ચે પીએમ મોદી દ્વારા આ રાજ્યોમાં ભાજપની નૈયા પાર કરાવવા માટે જાહેરસભાને સંબોધી હતી, જેમાં મધ્યપ્રદેશ સૌથી આગળ છે.
આ પાંચ રાજ્યોમાં વડાપ્રધાને એમપીમાં ૧૦, તેલંગાણામાં ૫, છત્તીસગઢમાં ૪ રેલી, જયારે મિઝોરમ અને રાજસ્થાનમાં ૧-૧ રેલી યોજી હતી.
પરંતુ જોવામાં આવે તો, પીએમ મોદીએ આ પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન પોતાના ગૃહરાજય ગુજરાત કરતા પણ ઓછી રેલીઓ કરી છે.
ગુજરાતમાં તેઓએ ૧૮૨ સીટો માટે ૩૪ જાહેરસભાઓને સંબોધી હતી, જયારે આ પાંચ રાજ્યોની કુલ ૬૭૯ બેઠકો માટે માત્ર ૩૨ રેલીઓ કરી છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન તેઓએ ૪૦૪ સીટો માટે ૨૪ જાહેરસભાઓને સંબોધી હતી.
જોવામાં આવે તો, આ પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ ૩૨ રેલીઓ દ્વારા ૨૧ થી ૨૨ સીટ કવર કરી છે, જયારે ગુજરાતમાં ૧૮૨ સીટો માટે યોજેલી ૩૪ રેલીઓ દ્વારા ૫ થી ૬ સીટ કવર કરી હતી.
ત્યારે હવે જોવાનું રહ્યું કે, આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પીએમ મોદીનો જાદુ કયા રાજ્યમાં ચાલી શકે છે. કારણ કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા આ રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સેમિફાઈનલ સમાન માનવામાં આવી રહી છે.