દેશની આર્થિક રાજધાની મુંબઈથી વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના અંધેરી વિસ્તારમાં આવેલ મરોલની મૈમુન બિલ્ડિંગમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકો ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટના બાદ પરીસ્થિતિ કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને રાહત કામગીરી પણ પૂરજોશમાં આરંભી દેવામાં આવી છે. અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જયારે મૈમુન બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ રહેણાંક બિલ્ડિંગના ત્રીજા માળે રાત્રે ૧ઃ૩૦ કલાકે આગ લાગી હતી. જેના કારણે ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટના સ્થળે જ દોડી આવી હતી, જેમણે આગ પર કાબુ મેળવ્યો છે. તમામ ઘાયલોને કુપુર અને મુકુંદ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
ઘટનાના સાક્ષી લોકોનું કહેવુ છે કે, “આગે અચાનક વીકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતું. કોઈ કંઈ સમજે કે વિચારે તે પહેલા આગ બિલ્ડિંગમાં પ્રસરી ચૂકી હતી”. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ફાયરબ્રિગેડની ટીમ મોડી પહોંચી. જો સમયસર ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હોત તો મોટી દુર્ઘટના થતી અટકી શકી હોત.
મહત્વનુ છે કે, ગત સપ્તાહે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલ એક પબમાં આગ લાગતા ૧૫ લોકોના મોત થયા હતા. જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક જ સપ્તાહમાં આગની બે ઘટનાના કારણે શહેરની ફાયર સેફ્ટી સામે સવાલ ઉઠવા લાગ્યા છે.