નિર્દેશક સંજયલીલા ભણસાલી દ્વારા નિર્મિત ‘પદ્માવતી’ ને લઇ હાલ દેશભરમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર જગ્યાએ આ ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરાયા હોવાની માહિતી બાદ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે આ વિવાદાસ્પદ ફિલ્મના વિરોધે ખૂની સ્વરૂપ ધારણ કર્યું હોય તે જોવા મળી રહ્યું છે.
હકીકતમા, જયપુરના નાહરગઢ કિલ્લા પર એક યુવાનનો મૃતદેહ લકટતો જોવા મળ્યો છે. આ મૃતદેહની બાજુના પથ્થર પર ફિલ્મના વિરોધને લાગતો એક મેસેજ લખવામાં આવ્યો હતો. પથ્થર પર લખવામાં આવ્યું, “અમે માત્ર પૂતળા નથી લટકાવતાં. લોકો પદ્માવતીનો વિરોધ કરી રહ્યા છે. અમે તો પોતાની જાતને ખતમ કરી રહ્યા છીએ”.
આ ઘટના બાદ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ ઘટના બાદ પોલીસ અને ફોરેન્સિકની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી તપાસ ચાલુ કરી છે. પ્રારંભિક તપાસમાં પોલીસે મૃતકની ઓળખ ચેતન સૈની તરીકે કરી છે. યુવક જયપુરનો રહેવાસી છે અને તેની ઉંમર ૨૨-૨૩ વર્ષ જણાવવામાં આવી છે.