નવી દિલ્હી,
સ્વદેશી ચીજવસ્તુઓ સાથે દેશના માર્કેટમાં ઉતરેલ યોગગુરુ બાબા રામદેવે હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું પગલું માંડ્યું છે. સોમવારે ધનતેરસના પવિત્ર દિવસ નિમિત્તે રાજધાની દિલ્હી સ્થિત નેતાજી સુભાષ પ્લેસમાં પોતાના સૌપ્રથમ “પતંજલિ પરિધાન” શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ ખાસ અવસરે બાબા રામદેવની સાથે પહેલવાન સુશિલ કુમાર, ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પતંજલિ પરિધાન શોરૂમમાં ૩ હજાર નવી પ્રોડક્ટ વેચવામાં આવશે. જેમાં ભારતીય કપડાઓને લઈ વેસ્ટર્ન કપડા, એક્સેસરીઝ અને ઘરેણા સુધીનું વેચાણ થશે. આ ઉપરાંત દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે ૨૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
ગારમેન્ટ સેક્ટરમાં પોતાના પહેલા શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે રામદેવે કહ્યું હતું કે, “ડિસેમ્બર સુધી દેશમાં ૨૫ નવા સ્ટોર ખોલવામાં આવશે. જો કે હાલમાં દિલ્હીમાં ખોલાયેલા આ સ્ટોરમાં જીન્સ ૧૧૦૦ રૂપિયા સુધીના મળી રહ્યા છે”.
પતંજલિ પરિધાન શોરૂમમાં લિવ ફિટ સ્પોટ્ર્સ વિયર, એથેન્ટીક વિયર, આસ્થા વિમેન્સ અને સંસ્કાર મેન્સ વિયરના નામથી અલગ-અલગ કેટેગરીમાં કપડા વેચવામાં આવશે.
રવિવારે મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, “વિદેશી કંપનીઓને ટક્કર આપવા માટે ધનતેરસના દિવસથી “પતંજલિ પરિધાન”ની શરૂઆત કરવામાં આવી છે, જેમાં જીન્સથી લઇ એથેનટીક વિયર અને એક્સેસરીઝ સુધી મળશે.
આ ઉપરાંત કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, સ્વદેશી જીન્સ ભારતીયો અને ખાસ કરીને મહિલાઓ માટે ખુબ જ આરામદાયક રહેશે. પરિધાનહેઠળ અંદાજે ૩૦૦૦ પ્રોડક્ટ લોન્ચ કરશે.
આ પહેલા કંપની દ્વારા પોતાના આમંત્રણ પત્રમાં લખાયું હતું કે, “ખાદીથી જે પ્રકારે સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત કરાઈ હતી, આ જ પ્રમાણે “પતંજલિ પરિધાન” પણ દેશમાં આર્થિક આઝાદીની નવી ક્રાંતિ શરુ કરશે”.
પત્રમાં જણાવ્યા મુજબ, “કપડા ન માત્ર પહેરવા માટે છે, પરંતુ એ અમારી ઓળખ, આત્મ-સન્માન અને આત્મ-ગૌરવનું પરિચાયક છે, જેને લઈ કોઈ પણ કિંમત પર સમજૂતી કરી શકાતી નથી”.