નવી દિલ્હી,
ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે, “કોઈ ચમત્કાર ન થાય ત્યાં સુધી નમસ્કાર થવા અશક્ય છે“, ત્યારે હવે આ જ પ્રકારે કઈક કેન્દ્રની મોદી સરકાર માટે ચરિતાર્થ થઇ રહી છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે સેમીફાઈનલ માનવામાં આવતી હતી, પરંતુ આ પહેલા જ ચૂંટણીમાં મળેલી હાર બાદ હવે મોદી સરકાર દેશના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર દેશના ૨૬.૩ ખેડૂતો માટે તેઓની લોન માફ કરવા માટે એક પોલીસી જાહેર કરી શકે છે અને આ માટે ૪ લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં અવી શકે છે.
જો કે દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ આ રાજ્યમાં પણ ભાજપનો સફાયો થયો છે, ત્યારે આ જાહેરાત ત્રણ રાજ્યો માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા પહેલેથી જ આ રાજ્યોમાં ખેડૂતોની લોનમાફી કરવા અંગે ઘોષણા કરવામાં આવી છે અને તેઓ દ્વારા ભાજપ એન્ટી ખેડૂત હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મોદી સરકાર દ્વારા કરવામાં આવનારી લોન માફીની જાહેરાત દેશના ૨૬.૩ ખેડૂતો માટે ઉપયોગી થઇ શકે છે.
આ પહેલા UPA સરકાર દ્વારા પણ વર્ષ ૨૦૦૮માં ૭૨,૦૦૦ કરોડ રૂપિયાની લોનમાફી કરવામાં આવી ચુકી છે અને તેઓ ત્યારબાદ ૨૦૦૯માં વધુ એકવાર સત્તા પર બિરાજમાન થયા હતા.