કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર રાફેલ ડીલને લઈ સરકાર સામે પ્રહાર કર્યા છે. રાહુલે રાફેલ ડીલને લઈ ટ્વીટ કરી રક્ષા મંત્રી નીર્મલા સીતારમણ પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કર્યુ કે, આરએમ (રાફેલ મિનિસ્ટર) રાફેલ ડીલને લઈને વારંવાર ખોટુ બોલી રહ્યા છે અને દરેક વખતે તેમનુ જુઠ્ઠાણુ પકડાઈ જાય છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં પૂર્વ એચએએલ ચીફ ટીએસ રાજુ ના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, રાજુએ રક્ષામંત્રીનુ જુઠ્ઠાણુ તમામ લોકો સામે લાવી દીધુ કે એચએએલમાં રાફેલ બનાવવાની ક્ષમતા નથી.
કોંગ્રેસ અધ્યક્ષે રક્ષા મંત્રી પર શાબ્દિક પ્રહાર કરતા તેમના રાજીનામાની પણ માંગ કરી છે. રાહુલ ગાંધી દ્વારા આ ટ્વીટ એવા સમયે કરવામા આવ્યુ છે. જ્યારે પીએસયુ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ના પૂર્વ વડા ટીએસ રાજુએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે, જો સરકારે ફ્રાન્સની કંપની દાસોલ્ટ સાથે મૂળ વાટાઘાટ યોગ્ય રીતે પાર પાડી હોત તો એચએએલ ઘરઆંગણે જ યુદ્ધ વિમાનનું નિર્માણ કરી શકી હોત. જો જાહેર એકમ 25 ટન વજનનુ સુખોઈ-30નું નિર્માણ કરી શકે છે અને એ પણ કાચા માલના તબક્કાથી તો રાફેલ વિમાન બનાવવાનુ પણ શક્ય બની શક્યુ હોત.
મહત્વનુ છે કે, એચએએલ ના પૂર્વ વડા રાજુ 1 સપ્ટેમ્બરના રોજ પોતાના પદ પરથી નિવૃત્ત થયા છે.