કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ એમની પાકિસ્તાન યાત્રા વિષે મોટું નિવેદન આપ્યું છે. સિદ્ધુએ કહ્યું કે, એમને રાહુલ ગાંધીએ જ પાકિસ્તાન મોકલ્યા હતા. એમણે કહ્યું કે, મારા કેપ્ટન રાહુલ ગાંધી છે. એમણે જ મને દરેક જગ્યાએ મોકલ્યો છે.
સિદ્ધુએ આગળ જણાવ્યું કે, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે મને પાકિસ્તાન જવાની ના કહી હતી. પરંતુ લગભગ 20 કોંગ્રેસી નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વના કહેવા પર હું પાકિસ્તાન ગયો હતો. પંજાબના સીએમ મારા પિતા સમાન છે. મારા કેપ્ટન રાહુલ ગાંધી છે અને સીએમ સાહેબના કેપ્ટન પણ રાહુલ ગાંધી જ છે.
હૈદરાબાદમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા પહોંચેલા સિદ્ધુ એ તેલંગાનાના સીએમ કે. ચંદ્રશેખર રાવની તુલના કાચિંડા સાથે કરતા કહ્યું કે એમણે સોનિયા ગાંધીને દગો કર્યો છે. તેઓ એમના 300 કરોડના બંગલામાં રહે છે. સચિવાલય જતા નથી. અમે રાહુલ ગાંધીના સિપાહી છીએ.
પૂર્વ ક્રિકેટરે નારો આપતા કહ્યું કે, ખરાબ દિવસો જવાના છે, રાહુલ ગાંધી આવવાના છે. લાલ કિલ્લા પર ઝંડો લહેરાવનારા છે, કોઈ રોકી શકો તો રોકો.