જયપુર,
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ સરકારમાં મંત્રાલયોની વહેચણીને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારબાદ હવે ગેહલોત સરકારમાં વિભાગોનું એલાન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગૃહ અને નાણા એમ બંને મહત્વના વિભાગની સાથે સાથે કુલ ૯ મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે, જયારે નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ પાસે લોક નિર્માણ, પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને વિજ્ઞાન-ટેકનોલોજી સહિતના ૫ વિભાગ આપવામાં આવ્યા છે.
આ પહેલા ૨૪ ડિસેમ્બરના રોજ રાજસ્થાન સરકારના મંત્રીમંડળનો વિસ્તાર કરાયો હતો, જેમાં ૧૩ કેબિનેટ મંત્રી અને ૧૦ રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં જીત હાંસલ કર્યા બાદ ૧૭ ડિસેમ્બરના રોજ અશોક ગેહલોતે રાજ્યના મુખ્યમંત્રી અને સચિન પાયલોટે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.