નવી દિલ્હી,
રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલોટના ઈલેક્શન લડવા અંગે અનેક અટકળો ચાલી રહી હતી, ત્યારે હવે આ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અશોક ગેહલોત અને સચિન પાયલોટ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડશે અને આ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ લીલી ઝંડી પણ આપી દીધી છે.
હિન્દી ન્યુઝ ચેનલ આજકત સાથેની વાતચીતમાં સચિન પાઈલોટે કહ્યું હતું કે, “આ નિર્ણય રાહુલ ગાંધીનો છે કે, અમે બંને નેતાઓ ચૂંટણી લડીશું”.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, “તેઓ અને અશોક ગેહલોત ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે ટુક સમયમાં ઓપચારિક રીતે ઘોષણા કરવામાં આવશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ બંને દિગ્ગજ નેતાઓ રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણી લડશે નહિ.
અશોક ગેહલોતની વાત કરવામાં આવે તો, તેઓ સરદારપુરામાંથી ચૂંટણી લડતા આવ્યા છે, જયારે સાંસદ રહેલા સચિન પાયલોટની આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે.
રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે અને વિધાનસભાની ચૂંટણીની મતગણતરી એક સાથે ૧૧ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.