મોરબીના હળવદમાં બુધવારે ઘટેલી દીવાલ ધરાશાયીની દુર્ઘટના બાદ રાત્રે એકસાથે 9 લોકોની અર્થી ઉઠી હતી. આ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ વેપાર ધંધાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. તમામ વેપાર ધંધાઓ બંધ રાખીને શોક પાળવાનું હળવદ વાસીઓએ નક્કી કર્યું હોવાની માહિતી મળી રહી છે.
વધુ વિગત અનુસાર બુધવારે બપોરે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં અચાનક મસમોટી દીવાલ ઘસી પડતા ત્યાં મજૂરી કરતા શ્રમિકો દટાઈ ગયા હતા અને 12 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા ભારે અરેરાટી મચી ગઇ હતી. આ દુર્ઘટનાથી સમગ્ર હળવદ પંથકમાં શોક છવાય ગયો હતો. ગોઝારી ઘટના બાદ રાત્રે મકવાણા રાજેશભાઈ જેતામભાઈ (ઉ.વ. 39) , કોળી શીતલબેન દિલીપભાઈ (ઉ.વ. 24), કોળી દીપક દિલીપભાઈ (ઉ.વ. 03), કોળી દક્ષા રમેશભાઈ (ઉ.વ. 15), કોળી દિલીપભાઈ રમેશભાઈ (ઉ.વ. 26), કોળી રમેશભાઈ મેપાભાઈ (ઉ.વ. 42), કોળી શ્યામ રમેશભાઈ (ઉ.વ. 13)ની સ્મશાન યાત્રા નીકળી હતી. આ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથોસાથ મોરબી પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ અને ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ આ સ્મશાન યાત્રામાં સામેલ થયા હતા.
આ આકસ્મિક દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને હળવદ પહોંચ્યા હતા. તેઓએ હળવદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો તેમજ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈને તેમને સાંત્વના આપી હતી. તેમજ આ દુર્ઘટનાનો સમગ્ર અહેવાલ ત્રણ દિવસમાં આપી દેવાનો આદેશ આપ્યો હતો. દુર્ઘટનાને પગલે અધિકારીઓ તેંમજ રાજ્યમંત્રી તથા મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા તેમજ પૂર્વ રાજ્યમંતી જયંતિભાઈ કવાડિયા સહિતના પદાધિકારીઓ દોડી જઈને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રીએ મૃતકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. અને આજે સમગ્ર પંથકમાં લોકો બજાર બંધ રાખીને શોક પાળી રહ્યા છે.
આ પણ વાંચો : અબ કી બાર મોંઘવારી કી માર,ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો,જાણો નવા ભાવ