નવી દિલ્હી,
દેશભરમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને લઇ ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે. રાજકારણમાં પણ આ મુદ્દે ઘણો ગરમાવો જોવા મળતો હોય છે, ત્યારે આ બહુચર્ચિત મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની વિવાદિત જમીન પર દાવો કોણો ? (ટાઈટલ શૂટ) તે અંગેના કેસને લઈ હાથ ધરાયેલી સુનાવણી બાદ આ હિયરીગ જાન્યુઆરી, ૨૦૧૯ સુધી ટાળી દેવામાં આવી છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચ દ્વારા રામ મંદિરની વિવાદિત ભૂમિ અંગે આ આદેશ આપવામાં આવ્યો છે. ત્રણ જજોની આ બેન્ચમાં CJI રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ એમ જોસેફ શામેલ છે.
જાણો, શું છે અયોધ્યાનો ટાઈટલ શૂટ ?
દેશના સૌથી ચર્ચિત એવા અયોધ્યાની વિવાદિત ભૂમિ અંગે વર્ષ ૧૯૫૦માં ગોપાલ સિંહ વિશારદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાના મુદ્દા પર પીટીશન દાખલ કરી હતી.
ત્યારબાદ આ અરજીમાં આ વિવાદિત સ્થળ પર હિંદુ રીતિ રીવાજ સાથે પૂજા કરવા માટેની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી હતી.
વર્ષ ૧૯૫૯માં નિર્મોહી અખાડા દ્વારા આ વિવાદિત ભૂમિ પર નિયંત્રણ લાવવા માટેની માંગ કરી હતી.
નિર્મોહી અખાડાની જેમ જ મુસ્લિમ સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા પણ આ વિવાદિત જમીન અંગે કોર્ટમાં પોતાનો દાવો ઠોકયો હતો.
ત્યારબાદ અયોધ્યાની આ વિવાદિત ભૂમિને વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ત્રણ ભાગોમાં વહેંચી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અયોધ્યાની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને ભગવાન રામલલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ એમ ત્રણ ભાગોમાં વહેચવા માટે આદેશ આપ્યો હતો.
જો કે અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા બાદ પણ કોઈ પણ પક્ષ રાજી થયું ન હતું અને ત્યારબાદ આ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
૯ મે, ૨૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પણ રોક લગાવી દીધી હતી.
ત્યારબાદ ૭ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ ૧૯૯૪ના કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે ઇન્કાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૨:૧ની બહુમતીથી પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, આ મામલાની સુનાવણી પુરાવાઓના આધારે જ હાથ ધરાશે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે ૨.૭૭ એકરની વિવાદિત ભૂમિ અંગેની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળી દેવામાં આવી છે.