આરએસએસ અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે કે રાંચીના મિશનરીઝ ઓફ ચેરિટીના કેન્દ્રો માંથી બાળકોને વેચવાની વાત સાચી ઠરે છે, તો મધર ટેરેસાને આપવામાં આવેલું ભારત રત્ન સમ્માન પાછું લઇ લેવું જોઈએ.
આરએસએસના દિલ્હી પ્રચાર પ્રમુખ રાજીવ તુલીએ કહ્યું કે જો મિશનરીઝ ઓફ ચેરિટી વિરુદ્ધ લાગેલા આરોપ સાચા સાબિત થાય છે તો મધર ટેરેસાને સામાજિક કાર્ય માટે અપાયેલું ભારત રત્ન પાછું લઇ લેવું જોઈએ. ભાજપના વરિષ્ટ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ તુલીની આ માંગનું સમર્થન કર્યું.
તુલીએ કહ્યું કે ભારતીય નાગરિકો ઇચ્છતા નથી કે ભારત રત્ન પર કોઈ દાગ લાગે. મધર ટેરેસાને ગયા વર્ષે વેટિકન દ્વારા સંતની પદવી આપવામાં આવી હતી. તુલીએ કહ્યું કે મધર ટેરેસાએ ક્યારે પણ લોક કલ્યાણ માટે કામ કર્યું નથી.
આ પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મધર ટેરેસા દ્વારા સ્થાપિત આ સંસ્થાનું સમર્થન કરતા કહ્યું કે દુર્ભાવનાવશ અને બદનામ કરવા માટે લક્ષ્ય બનાવવામાં આવી રહી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ તુલીની ટિપ્પણી વિષે કહ્યું કે હું એમનું 100 ટકા સમર્થન કરું છું. બ્રિટિશ લેખક ક્રિસ્ટોફરના પુસ્તક ધ મિશનરી પોઝિશન: મધર ટેરેસા ઈન થિયરી એન્ડ પ્રેક્ટિસમાં આખો દસ્તાવેજ આપવામાં આવ્યો છે કે કેવા રીતે મધર ટેરેસાએ બનાવટ કરી છે.
મમતા બેનર્જીની ટિપ્પણીનો જવાબ આપતા સ્વામીએ કહ્યું કે મમતા બેનર્જી આ બાબતે ચર્ચા કરવા માંગે છે તો હું તૈયાર છું. મારી પાસે તથ્ય છે.