દિલ્હી,
સીબીઆઇના હાલના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની નિમણુંકને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. જાણીતા એડવોકેટ પ્રશાંત ભુષણ દ્રારા રાકેશ અસ્થાનાની સીબીઆઇમાં થયેલી નિમણુંકને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી. આ પીટીશનમાં રાકેશ અસ્થાનાની નિમણુંકને ગેરકાયદેસર ઠેરવવાની સાથે સાથે તેમણે એક કંપની પાસે લીધેલી કહેવાતી કટકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જો કે રાકેશ અસ્થાનાની નિમણુંકને યોગ્ય ઠેરવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર દ્રારા થયેલી અસ્થાનાની નિમણુંકમાં કોઇ નિયમોનું ઉલ્લંઘન થયું નથી. મંગળવારે સુપ્રિમ કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું કે રાકેશ અસ્થાનાની નિમણુંકમાં કાયદાનું ઉલ્લંઘન થયું નથી.
કોમન કોઝ નામની સામાજીક સંસ્થા દ્રારા રાકેશ અસ્થાનાની નિમણુંકને પડકારતા સુપ્રિમ કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી કે કેન્દ્ર સરકારે આ એપાઇન્ટમેન્ટ ખોટી રીતે કરી છે અને ગેરકાયદેસર છે.
સંસ્થા વતી અરજી કરનાર એડવોકેટ પ્રશાંત ભુષણે એવો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો હતો કે સાંડેસરા ગ્રુપ પર પડેલી ઇન્કમટેક્સની રેડમાં પકડાયેલી ડાયરીમાં રાકેશ અસ્થાનાને 3 કરોડ રૂપિયા કરતાં વધારે રકમ ચુકવવાનો ઉલ્લેખ હતો.
પ્રશાંત ભુષણે એમ પણ કહ્યું કે રાકેશ અસ્થાનાને કંપનીએ ગેરકાયેદસર રીતે પૈસા ચુકવ્યા હતા.
જો કે સુપ્રિમ કોર્ટે આ તમામ આક્ષેપો ફગાવીને રાકેશ અસ્થાનાની સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકેની નિમણુંકને યોગ્ય ઠેરવી હતી.