નવી દિલ્હી,
કોંગ્રેસના સાંસદ શશિ થરુર પોતાના નિવેદનનાં કારણે વિવાદોમાં રહેતા હોય છે, ત્યારે તેઓએ વધુ એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપેલા એક નિવેદનને લઈ ચર્ચામાં છે.
કોંગ્રેસના નેતા શશિ થરુરે જણાવ્યું હતું કે, “દેશમાં આજે એક ચાવાળો પ્રધાનમંત્રી છે, જે જવાહરલાલ નહેરુના કારણે જ શક્ય બન્યું છે”.
ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુની જન્મજયંતીની પૂર્વ સંધ્યાબના એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે, “પંડિત નહેરુએ જ દેશની સંસ્થાઓને એટલી મજબૂત બનાવી છે કે કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રના કોઈ પણ સર્વોચ્ચ પદ પર પહોચાવાનું સપનું જોઈ શકે છે”.
જો કે કોંગ્રેસના સાંસદ શશિ થરુરે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પર એક પુસ્તક લખ્યું છે. જેનું વિમોચન મંગળવાર રાત્રે કરવામાં આવ્યું હતું. આ સમયે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ હાજર રહ્યા હતા.
આ પહેલીવાર નથી, જયારે શશિ થરુર વિવાદોમાં સપડાયા છે. આ પહેલા તેઓએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, “એક સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને એક હીરો બેઠો છે અને જે કહે છે કે, હું તમામ જવાબ જાણું છું”.
કલકત્તામાં આયોજિત એક ઔદ્યોગિક સંસ્થાના એક કાર્યક્રમમાં કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, ‘મોદી એક વ્યક્તિની સરકાર છે અને બીજા તમામ તેઓના ઈશારે નાચે છે. ભારતમાં હાલમાં ઇતિહાસનું સૌથી કેન્દ્રીયકૃત પ્રધાનમંત્રી ઓફિસ છે”.