કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન હાઈકમિશન પહોંચ્યાં હતાં. અહીં તેમણે પાકિસ્તાનના ભાવી વડાપ્રધાન ઈમરાન ખાનના 18મી ઓગષ્ટે ઈસ્લામાબાદમાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા જવાની ઔપચારીકતા પૂરી કરી હતી.
પાકિસ્તાન હાઈકમિશન માંથી બહાર આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થવા માટે સરકારી મંજૂરી લેવા અરજી કરી છે. આ માટે જરૂરી કેટલીક ઔપચારીકતાઓ પુરી કરી લીધી છે. હવે બધુ જ ભારત સરકાર પર નિર્ભર કરે છે.
સિદ્ધુએ જણાવ્યું હતું કે, જો સરકાર તરફથી મંજૂરી મળી જશે તો હું ચોક્કસથી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપીશ. પાકિસ્તાન હાઈકમિશન અને સિદ્ધુ વચ્ચે લગભગ એક કલાક જેટલી મુલાકાત ચાલી હતી.
ઈમરાને જાતે જ ફોન કરી આમંત્રણ આપ્યું
ઈમરાન ખાન તરફથી આમંત્રણ મળવા પર સિદ્ધુએ ગૃહ મંત્રાલય અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના કાર્યાલયને તેને સૂચના આપી દીધી હતી. સિદ્ધુએ જણાવ્યું હતું કે, તે ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાને પોતે જ સિદ્ધુને ફોન કરીને આમંત્રણ આપ્યું છે.
ઈમરાનને ગિફ્ટમાં આપ્યું ક્રિકેટ બેટ
પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસારિયાએ ગત શુક્રવારે પાકિસ્તાનના ભાવી વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે સંબંધોને સુયોગ્ય બનાવવા પર ચર્ચા કરી. મુલાકાત દરમિયાન ભારતીય રાજદૂતે ઈમરાન ખાનને એક ક્રિકેટ બેટ પણ ભેટ તરીકે આપ્યું હતું. ભેટ સ્વરૂપે આપવામાં આવેલા આ ક્રિકેટ બેટ પર આખી ભારતીય ક્રિકેટ ટીમના હસ્તાક્ષર કર્યા હતાં.