ઉજ્જૈન
મધ્યપ્રદેશમાં ઉજ્જૈનના ભારતીય જનતા પાર્ટીના સાંસદે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફગાવી દીધો છે. સાંસદ સભ્ય ડો. ચિંતામણી માલવિયે સુપ્રીમ કોર્ટના ફટકડા ફોડવાના નિર્ણય અંગે કહ્યું છેકે હું તો રાતના ૧૦ વાગ્યા પછી જ ફટાકડા ફોડીશ.
મંગળવારે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા મામલે અમુક નિયમો જણાવ્યા હતા. આ નિર્ણય આવ્યા બાદ તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે હું મારી દિવાળી પરમ્પરાગત રીતે જ ઉજવીશ અને લક્ષ્મી પૂજન બાદ રાતના ૧૦ વાગ્યા પછી જ ફટાકડા ફોડીશ. વધુમાં તેમણે કહ્યું હતું કે હિંદુ પરંપરામાં કોઈ દખલઅંદાજી ન કરી શકે. આમ કરવા બદલ જો મારે જેલમાં જવું પડે તો પણ હું ખુશી ખુશી જતો રહીશ.
ઉજ્જૈનના સાંસદ સભ્ય આની પહેલા પણ ઘણી વખત પોતાના વિવાદિત નિવેદનને લીધે ચર્ચામાં રહ્યા છે. આ વર્ષે જ તેમની જુગાર રમતી ફોટો પણ વાયરલ થઇ હતી.
તમને જણાવી દઈએ કે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા તેમજ તેના વેચાણ અંગે એક મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા મંગળવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા પર ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરમાં કેટલીક શરતો સાથે ફટાકડા ફોડવા તેમજ તેના વેચાણને લઈ મંજૂરી આપવામાં આવી છે.
કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોશિશ કરવામાં આવે કે ઓછું પ્રદુષણ ફેલાવતા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવે જેથી પર્યાવરણને પણ કોઈ નુકશાન ન પહોચે.
જો કે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દિવાળીમાં ફટાકડા ફોડવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, દિવાળી પર લોકો રાત્રે ૮ થી ૧૦ વચ્ચે, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર રાત્રે ૧૧.૪૫ થી ૧૨.૧૫ સુધી જ ફટાકડા ફોડી શકશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના ઓનલાઈન શોપિંગ પર પ્રતિબંધ મુક્યો છે.