નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની સ્માર્ટ સિટી મહત્વકાંક્ષી યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ મહત્વકાંક્ષી યોજના હેઠળ દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ બનાવવાની કવાયત શરુ કરવામાં આવી હતી. પરંતુ અત્યારસુધીમાં દેશનું એક પણ શહેર સ્માર્ટ બની શકે તે દેખાતું નથી.
પ્રાપ્ત થયેલા આંકડા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર બનારસને ટોક્યો અને દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ બનાવવા માટે સરકારે અત્યારસુધીમાં લગભગ ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
૨૦૨૧માં તૈયાર થશે પ્રથમ સ્માર્ટ શહેર
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષના અંત સુધી વધુ ૨૦ હજાર કરોડ રૂપિયા વધુ ખર્ચ થશે, તેમજ સરકાર દ્વારા દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, દેશની પ્રથમ સ્માર્ટ સીટી ૨૦૨૧ સુધી બનીને તૈયાર થશે.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સરકાર દ્વારા સ્માર્ટ સિટી યોજના અંગે જવાબ આપતા શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહે આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું, “મોદી સરકાર ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવા માટેના પ્લાન પર ઝડપથી કામ થઇ રહ્યું છે”.
સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે, આ પ્રોજેક્ટનું પ્રથમ ચરણ જાન્યુઆરી, ૨૦૧૬થી શરુ થયું હતું જેમાં અત્યારસુધીમાં ૩૭ ટકા રૂપિયા ખર્ચ થયા છે. આ યોજના હેઠળ એક પ્રોજેક્ટ માટે ૫૦૦ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે, જયારે બાકીના પૈસા રાજ્ય સરકાર, PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) તેમજ લોન દ્વારા ખર્ચ કરવામાં આવશે.
રાજ્યસભામાં સરકાર દ્વારા જનભાગીદારી અંગે કહેવામાં આવ્યું, “જનભાગીદારી હેઠળ સ્માર્ટ સિટીનું ૨૫ લાખ નાગરિકો દ્વારા પસંદગી કરવામાં આવી હતી. જેમાં ૯૦ ટકા બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે. એટલે કે આ શહેરોમાં જેઓ [પહેલાથી જ ત્યાં વસેલા છે, પરંતુ ત્યાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, કુલ મળીને સરકારની સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પર પેન્સિલ આર્ટ ૨,૦૫,૮૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે.
આ પ્રોજેક્ટ માત્ર ડ્રોઈંગ બોર્ડમાં છુપાઈને રહી ગયો છે : ગુલામ નબી આઝાદ
જો કે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે સરકારના આ દાવાઓ અંગે સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું, “સ્ટેન્ડિંગ કમિટીના આંકડા મુજબ, સ્માર્ટ સિટી માટે માત્ર ૭ ટકા જ બજેટનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટી આ વાતને લઇ પરેશાન હતી કે અ પ્રોજેક્ટ માત્ર ડ્રોઈંગ બોર્ડમાં છુપાઈને રહી ગઈ છે”.
આ અંગે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે, “સ્ટેન્ડિંગ કમિટી યુટિલાઈઝેશન સર્ટિફિકેટના આંકડાને આધાર માની રહી છે જે જુના છે. પરંતુ સરકારે માન્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તાલમેલ બનાવવા માટે અનેક બાધાઓ સામે આવી રહી છે”.