જમ્મુ,
દેશભરમાં અતિ પવિત્ર મનાતી એવી બાબા બર્ફાનીની અમરનાથની યાત્રા શરુ થઇ ગઈ છે. બુધવાર સવારે સુરક્ષાના પુખ્ત બંદોબસ્ત વચ્ચે યાત્રીઓનું પ્રથમ ગ્રુપ બાલટાલ અને પહલગામથી રવાના થયું હતું. આ વર્ષે અત્યારસુધીમાં ૨.૧ લાખ યાત્રીઓએ પવિત્ર યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
બાબા બર્ફાનીની આ પવિત્ર અમરનાથની યાત્રા આગામી ૪૦ દિવસ સુધી ચાલશે અને ૨૬ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. જો કે આ યાત્રા દરમિયાન કાશ્મીરમાં આતંકી હુમલાના એલર્ટને જોતા સુરક્ષાના પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે CRPF, સેના અને NSGના કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે તેમજ ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.
અમરનાથની યાત્રા માટે કરાયેલી અભેદ સુરક્ષા :
અમરનાથ યાત્રાની સુરક્ષા માટે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ૧૭ ટકા વધુ સુરક્ષાબળના જવાનોને તૈનાત કરાયા છે. ૨૦૧૭માં સેનાની ૨૦૪ કંપનીઓ તૈનાત કરાઈ હતી જયારે આ વર્ષે આ કંપનીઓ વધારીને ૨૩૮ કરવામાં આવી છે.
સેના, અર્ધસૈનિક બળોના જવાનો, સ્થાનિક રાજ્યની પોલીસ અને NDRFના અંદાજે ૪૦,૦૦૦ સુરક્ષાકર્મીઓને તૈનાત કરાયા છે.
આ યાત્રાના કેટલાક સંવેદનશીલ જગ્યાઓ પર ડ્રોન કેમેરા દ્વરા નજર રાખવામાં આવશે.
આર્મીના જવાનોની ટેલીફોનિક કનેક્ટિવિટી માટે પ્રોજેક્ટ ક્રાંતિ હેઠળ ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા ઓપ્ટિકલ ફાઈબરનું નેટવર્ક ઉભું કરાયું છે.
આ યાત્રાની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
પહેલીવાર ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ સદી વર્દીમાં ઇલેક્ટ્રોનિક અને મેન્યુઅલ સુરક્ષા પૂરી પાડશે.
રેડિયો ફ્રિકવન્સી ટેગવાળા વાહનો, ડ્રોનના નિગરાની અને કમાંડોના મોટરસાયકલની ટુકડી યાત્રાના માર્ગ પર તૈનાત સેના, અર્ધસૈનિક બળ અને પોલીસકર્મીઓની મદદ માટે તૈયાર રહેશે.
જમ્મુ-કાશ્મીરના આઈજીએ અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે જણાવ્યું, “અમારા દ્વારા સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અમે આધુનિક ટેકનિક અને ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે, સાથે સાથે ગત વર્ષના મુકાબલામાં આ વર્ષે સુરક્ષા વધારવામાં આવી છે.
બુધવાર સવારે સુરક્ષાના પુખ્ત બંદોબસ્ત વચ્ચે રવાના થયેલું યાત્રીઓનું પ્રથમ ગ્રુપ પહેલા દિવસે કાશ્મીરના ગાંદેરબાલ સ્થિત બાલટાલ અને અનંતનાગ સ્થિત નુનવાન, પહેલગામ આધાર શિબિર પહોચશે. ત્યારબાદ યાત્રીઓ બીજા દિવસે ૩૮૮૦ મીટરની ઉંચાઈ પર સ્થિત ગુફા મંદિર માટે રવાના થશે અને આ સાથે જ આ પવિત્ર યાત્રા શરુ થશે.
મહત્વનું છે કે, સુરક્ષાના કારણોસર આ વર્ષે અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા પ્રતિદિન ૭૫૦૦ યાત્રીઓને જવા માટે પરવાનગી આપવામાં આવી છે.