વર્ધા,
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પુલગાવ સ્થિત આર્મીના સૌથી મોટા હથિયાર ડેપોમાં મોટો બ્લાસ્ટ થયો છે. મંગળવાર સવારે સેન્ટ્રલ એમ્યુનિશન ડેપોમાં થયેલા આ બ્લાસ્ટમાં ૬ લોકોના મોત થયા છે, જયારે ૧૧ લોકો ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
૨૦૧૬માં પણ ડેપોમાં થયો હતો બ્લાસ્ટ
જો કે આ પહેલીવાર નથી જયારે સેનાના આ ડેપોમાં બ્લાસ્ટ થયો છે. આ પહેલા આજથી બે વર્ષ પહેલા એટલે કે ૨૦૧૬માં મોડી રાત્રે ડેપોમાં રખાયેલા દારૂગોળામાં આગ લાગવાને કારણે મોટો વિસ્ફોટ થયો હતો.
આ વિસ્ફોટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી અને જેમાં આર્મીના ૧૬ જવાનોના મોત થયા હતા જયારે ૧૯ લોકો ઘાયલ પણ થયા હતા. મૃત્યુ પામેલા આ જવાનોમાં સેનાના ૨ અધિકારીઓ પણ શામેલ હતા.
ડેપોના ફાયરિંગ રેન્જમાં થયો બ્લાસ્ટ
મળતી માહિતી મુજબ, વર્ધા સ્થિત આર્મીના આ ડેપોના ફાયરિંગ રેન્જમાં આ ઘટના થઇ છે. આ ફાયરિંગ રેન્જમાં ડેપોના કર્મચારીઓ કોઈ જૂના વિસ્ફોટકોને નષ્ટ કરવા માટેની પ્રક્રિયા કરી રહ્યા હતા, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. જયારે આ ધમાકો થયો ત્યારે સવારે શિફ્ટમાં કામ કરનારા અંદાજે ૪૦ લોકો ઘટનાસ્થળે હતા.
મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આ બ્લાસ્ટમાં ૪ લોકો મર્યા હોવાની પૃષ્ટિ કરી છે, જેમાં ત્રણ લોકો ગામના હતા જયારે એક ફેકટરીમાં કામ કરનારો એક મજૂર હતો.
બીજી બાજુ સવારમાં અચાનક જ થયેલા આ બ્લાસ્ટના કારણે આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયોછે. ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઇ ગઈ છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ બ્લાસ્ટના કારણે હથિયાર ડેપોમાં જાનમાલનું નુકશાન થવાની ભીતિ છે. આ કારણે આજુબાજુના વિસ્તારોમાં દહેશતનો માહોલ સર્જાયો છે.
આ ઉપરાંત માહિતી મળી રહી છે કે, આ બ્લાસ્ટના કારણે સુરક્ષાના કારણોને જોતા આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
શું છે વર્ધા સ્થિત આર્મીના ડેપોની ખાસિયત ?
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પુલગાવ સ્થિત આવેલા આર્મીનો હથિયાર ડેપો એ દેશનો સૌથી મોટો ડેપો છે અને તે ૭૦૦૦ એકરમાં ફેલાયેલો છે.
આ ડેપો નાગપુરથી અંદાજે ૧૧૫ કિમી દૂર છે અને એમાં સેનાના હથિયારો તેમજ દારૂગોળાઓ સૌથી વધુ ભંડાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફેક્ટરીઓમાં બનેલા હથિયારો સૌથી પહેલા આ ડેપોમાં આવે છે અને ત્યારબાદ દેશના અન્ય સ્થાનો પર સપ્લાઈ કરવામાં આવે છે.