નાથદ્વારા,
ગુજરાતના કેવડિયા કોલીની ખાતે નિર્માણ થયેલી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી ચુક્યું છે. આ સાથે જ તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બની ગઈ છે. ત્યારબાદ હવે રાજસ્થાનના નાથદ્વારા ખાતે ભગવાન શંકરની ૩૫૧ ફૂટની પ્રતિમા બનાવવામાં આવી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, ભગવાન શિવની આ પ્રતિમા આગામી વર્ષે બનીને તૈયાર થઇ જશે. આ સાથે જ તે દુનિયામાં ભગવાન શંકરની સૌથી ઉંચી પ્રતિમા બની જશે.
આ પ્રતિમામાં ભગવાન શંકર ધ્યાન અને આરામની મુદ્રામાં જોવા મળી રહ્યા છે. આ પ્રતિમામાં યાત્રીઓ માટે ૪ લીફ્ટ તેમજ ૩ સીડીઓની સુવિધા આપવામાં આવશે.
આ પ્રતિમાનું નિર્માણ પૂર્ણ થયા બાદ તે ૨૦ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાશે.
રાજસ્થાનના ઉદયપુરથી ૫૦ કિમીના અંતરે નાથદ્વારા પાસે ગણેશ ટેકરી પાર નિર્માણ થઇ રહેલી ભગવાન શિવની પ્રતિમાનું ૮૫ ટકા કામ પૂર્ણ થઇ ચુક્યું છે. મિરાજ ગ્રુપ દ્વારા આ ડ્રીમ પ્રોજેક્ટનું કામ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રતિમાના નિર્માણ બાદ તે દુનિયાની ચોથા નંબરની અને ભારતની સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ બીજા નંબરની સૌથી ઉંચી પ્રતિમા બનીને તૈયાર થશે.
૪ વર્ષથી તૈયાર થઇ રહી છે આ પ્રતિમા
નાથદ્વારા ખાતે નિર્માણ થઇ રહેલી ભગવાન શિવની પ્રતિમા અંગે વાત કરવામાં આવે તો, તેનું નિર્માણ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં સિમેન્ટની ૩ લાખ થેલીઓ, ૨૫૦૦ ટન સળિયાનો ઉપયોગ થઇ ચુક્યો છે. જેમાં ૭૫૦૦ કારીગરો અને મજૂર કામ કરી રહ્યા છે.