રાફેલ ડીલ વિવાદ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તલવારો ખેંચાઈ ચુકી છે. આજે યૂથ કોંગ્રેસે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસનો ઘેરાવ કર્યો છે.
યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ સુધી માર્ચ કાઢી હતી. કોંગ્રેસનો આરોપ છે કે રાફેલ ડીલ દ્વારા પ્રધાનમંત્રી મોદીએ આ ડીલમાં ગોટાળો કર્યો છે. યુવા કોંગ્રેસીઓની આ માર્ચ કોંગ્રેસ મુખ્યાલયથી લઈને પીએમ આવાસ સુધી હતી. પ્રદર્શન દરમિયાન યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ નારેબાજી કરી હતી.
જણાવી દઈએ કે કોંગ્રેસે રાફેલ મુદ્દે દેશભરમાં લગભગ 100થી વધારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ ઉપરાંત કોંગ્રેસની કોર કમિટીએ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળીને બેઠક પણ કરી હતી. પાર્ટીએ બેઠકમાં મોદી સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો.
કોંગ્રેસનો આરોપ છે કે યુપીએ સરકારના કાર્યકાળમાં 126 વિમાન ખરીદવાનું વચન આપવામાં આવ્યું હતું. આ માટે 18 વિમાન રેડી ટૂ ફ્લાય અને બાકીના 108 વિમાન ટેક્નોલોજી ઓફ ટ્રાન્સફર હેઠળ એચએએલમાં નિર્માણ થવાના હતા. પરંતુ પીએમ મોદીએ જે સમજૂતી કરી છે, એમાં માત્ર રેડી ટૂ ફ્લાય માટે 36 રાફેલ ખરીદવાની વાત છે.