નવી દિલ્હી,
દિલ્હીમાં આઇએએસ અધિકારીઓની કથિત હડતાલ ખતમ કરવા માટે એલજી ઓફિસમાં અરવિંદ કેજરીવાલ સાથે ઉપવાસ પર બેઠેલા દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની તબિયત બગડી ગઈ છે. જે કારણે એમને LNJP હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ખુદે આ બાબતે ટ્વીટર પર જાણકારી આપી હતી. આ પહેલા જણાવાયું હતું કે ઉપવાસ પર બેઠેલા સીસોદીયાની હાલત છઠ્ઠા દિવસે બગડી ગઈ છે. એમના લોહીના સેમ્પલમાં કીટોનનું લેવલ 7.4 સુધી પહોચી ગયું હતું. સામાન્ય રીતે કીટોનનું લેવલ શૂન્ય હોવું જોઈએ. ડોક્ટરોએ એલજી હાઉસ જઈને સિસોદિયાનું ચેકઅપ કર્યું હતું., ત્યારબાદ એમને હોસ્પીટલમાં શિફ્ટ કરવાનો ફેસલો કરવામાં આવ્યો હતો.
આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની હાલત બગડી હતી, જેથી એમને પણ હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં એમની હાલત સ્થિર છે.
જણાવી દઈએ કે ઉપવાસ પર બેસવાને લઈને સોમવારે હાઈકોર્ટે કેજરીવાલને કેટલાક તીખા સવાલો કર્યા હતા. ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું કે ઉપવાસ પહેલા એલજીની અનુમતિ કેમ લેવામાં આવી નહતી. ગુપ્તાએ દિલ્હીના સીએમ અને મંત્રીઓના ઉપવાસ ખતમ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે આ મામલાનું સમાધાન થવું જોઈએ. આ મામલાની આગળ સુનાવણી 22 જુને થશે.
આપ નેતા સંજય સિંહે જણાવ્યું કે ઉપવાસનું પગલું બધા લોકતાંત્રિક રસ્તાઓ આજમાવ્યા બાદ લેવામાં આવ્યું હતું.સંજય સિંહે કહ્યું કે કોર્ટે જે પૂછ્યું છે એનો જવાબ આપવામાં આવશે. અમે કહેવા માંગીએ છીએ કે ઉપવાસ કરવાની નોબત એક દિવસમાં નથી આવી, બધા લોકતાંત્રિક રસ્તાઓ અપનાવવામાં આવ્યા, જયારે કઈ કામ ના લાગ્યું ત્યારે આ અંતિમ રસ્તો અપનાવાયો હતો.
અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય સાથે મળીને છેલ્લા આંઠ દિવસથી ઉપ-રાજ્યપાલ અનીલ બૈજલના કાર્યાલય પર ઉપવાસ પર બેઠા છે. તેઓ ઉપરાજ્યપાલ પાસે આઈએએસ અધિકારીઓને નિર્દેશ આપવાની માંગ કરી રહ્યા છે કે અધિકારો તેમની હડતાલ પૂરી કરે અને ઘરે-ઘરે રેશન પહોચાડવાની યોજનાનો સ્વીકાર કરે.