natural farming/ આત્મનિર્ભર ભારત માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક: રાજયપાલ

રાજયપાલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તેમજ તેનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનુપજાઉ અને ઝેરી બનતી જાય છે. તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે.

Top Stories Ahmedabad Gujarat
દેવવ્રત

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ તેમજ અટારી પુના દ્વારા “સ્વસ્થ રાષ્ટ્ર માટે પ્રાકૃતિક ખેતી” વિષય પર શિબિર યોજાઈ હતી. અમદાવાદ ખાતે ગુજરાત રાજયના સહકાર વિભાગ દ્વારા ચિંતન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંબોધન કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી વર્ચ્યુઅલી રાજયપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તેમજ તેનું મહત્વ વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનુપજાઉ અને ઝેરી બનતી જાય છે. તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તેમણે જણાવ્યું હતુ કે, ભારતની આબોહવા તેમજ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ વધુ માફક આવતી નથી. જેના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે છે.

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઈન, 14 ફેબ્રુઆરીથી થશે લાગું…

જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં થતાં ધાન્ય પાકોને નાઇટ્રોજનની વધુમાં વધુ જરૂરિયાત રહે છે. જે પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી મળી રહે છે. આ પદ્ધતિથી રાસાયણિક પદ્ધતિ જેટલું જ ઉત્પાદન મળી રહે છે એટલું જ નહીં, જમીનમાં પોષક તત્વોમાં અને મિત્ર કિટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે જેના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે.

દેવવ્રત

રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરવાથી થતાં અનેક ફાયદાઓનું વર્ણન કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેત પદ્ધતિ સ્વીકારવા અનુરોધ કરતા જણાવ્યું કે, આજે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોનાં કારણે લોકો અનેક રોગના ભોગ બની રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે.

દેવવ્રત

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને તેમણે જણાવ્યુ હતુ કે, ભારતીય દેશી ગૌવંશની કાંકરેજ અને ગીર ગાયના છાણ તેમજ ગૌમૂત્રના ઉપયોગની સમજ તેમજ પાંચ દિવસમાં જીવામૃત અને ઘન જીવામૃત ખાતર તૈયાર કરવાની પદ્ધતિ પણ ત્રણ રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને સમજાવીને પ્રાકૃતિક ખેતી થકી આર્થિક રીતે સદ્ધર બની, ખેડૂતોની આવક બમણી કરવાનાં સપનાંને સાકાર કરી શકાશે, તેવું રાજ્યપાલએ જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આવનારી પેઢીને ઝેરી રસાયણ યુક્ત જમીન આપવી છે કે, ઉપજાઉ જમીન તે આપણા ઉપર નિર્ભર કરે છે ઉત્તરોત્તર વધતી બીમારીઓથી બચવું હશે અને આવક પણ વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ મળે અને ખેડૂતો પ્રકૃતિના સંવર્ધનની સાથે પોતાની આવક બમણી કરી શકે તે હેતુસર પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં વિશેષ ઉપસ્થિત સહકાર રાજયમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડુતોને નફો કેવી રીતે બમણો થાય તે અંગે માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીએ સાબિત કરી બતાવ્યુ છે. અને રાજ્યનાં ગામડે ગામડે નેચરલ ફાર્મની સ્થાપના થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.કાર્યક્રમની આભાર વિધિ નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. ટીંબડીયાએ કરી હતી. આ પ્રસંગે કૃષિ મહાનિદર્શક ડો.એ.કે.સિંહ, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝેડ પી પટેલ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના ૮૨ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કે.વી.કે.ના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રશાસકની કરાશે નિમણૂંક, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય

આ પણ વાંચો:પંજાબમાં ચૂંટણી પહેલા પીએમ મોદીની રેલી, ત્રણ જાહેરસભાઓને કરશે સંબોધિત