મનમોહક મોર અને ઢેલ – મોર (નર) અને ઢેલ (માદા)
કદ: વિશાળ ૪૦ થી ૪૬ ઇંચ/ ૧૦૦ થી ૧૨૦ સેન્ટિમીટર/ લગભગ ૩.૭૫ થી ૪ ફુટ.
ભારતવર્ષમાં સહુથી મોટા પક્ષીઓમાંનું એક, ભારતનું રાષ્ટ્રીય પક્ષી અને રંગેરૂપે અતિ રૂપાળું પક્ષી એટલે વિશ્વમાં જાણીતું પક્ષી મોર અને તેની જીવન સાથી માદા ઢેલ. નર મોરની સુંદરતા વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે! માદાને રીઝવવા માટે મોરની કળા જોવાનો લાભ અનેરો હોય છે અને જોનારને અભિભૂત કરી દે છે. મોરના પીંછાનો વાદળી, લીલો અને જાંબલી રંગ તેમજ તેની કલાત્મક રચના નયનરમ્ય હોય છે. નાનું બાળક જ્યારે ચિત્ર કામ શીખે તો અચૂક મોરનું ચિત્ર દોરે અને વિદ્યાર્થી તેના પીંછાને પોતાના પુસ્તકમાં પણ રાખે.
કળા વખતે, તેમજ તેની પાંખો અને પીંછામાંથી સૂર્યપ્રકાશ પડે અને પસાર થાય ત્યારની ઝાંય અને ચમક અપ્રતિમ સુંદર દેખાય છે. કળા વખતે તેનાં પીંછા પંખાના આકારે ધીમે ધીમે ખંખેરીને પહોળા કરે અને તે કળા ઘણા લાંબા સમય સુધી રાખે અને માદાને રીઝવવા પ્રયત્ન કરે. મોરની રચનામાં પુખ્ત મોર અને ઢેલને કુદરતે તેને સોળે કળાએ ખીલે તેવી શિરમોર કલગી એટલેકે મુગટ આપેલો છે તે તેની સુંદરતામાં ઉમેરો કરે છે. તેમની આંખની ઉપર એક સફેદ રંગની ધારી હોય છે અને અર્ધચંદ્રાકાર આંખની નીચે ચામડીનો સફેદ અર્ધચંદ્રાકાર પટ્ટો હોય છે, જાણે આંખને નયનરમ્ય રંગ પૂર્યા હોય! મોરને લગભગ ૨૦ પીંછા હોય છે અને દરેક પીંછામાં એક સુંદર આંખ ચિત્રાયેલી હોય છે.
શરીરનીનો નીચેનો કથ્થઇ ભાગ ચમકદાર હોય છે અને પૂંછડીની નીચેનો ભાગ લીલા રંગનો અને પૂંછડીમાં એક લકીર ખેંચેલી હોય છે. તેમના સુંદર અને મોટા પીંછા ફેબ્રુઆરી મહિનાથી વિકસિત થઈને ઓગસ્ટ મહિના સુધી રહે છે જે તેમની પ્રજનનની ઋતુ છે અને ત્યારબાદ તેવા પીંછા ખરી જાય છે. પીંછા ખરી ગયા બાદનો મોર અને ઢેલ ને ઓળખવા માટે તેમની પીઠ જુવો તો કબર પડે. બંનેની પીઠની ભાત જુદી પડે છે. તેમના દેખાવડા પીંછા ઉડવા માટેના આ ખાસ પીંછા નથી પણ ઉડવા માટેના પીંછા નીચેના ભાગમાં જુદા જોય છે.
ફોટો @દીપક પરીખ
અભ્યાસમાં એવા તારણ બહાર આવેલ છે કે ઢેલ બીજા લક્ષણો અને સંકેત ઉપરાંત મોરના પીંછાની સુંદરતા જોઈને તેના તરફ આકર્ષાય છે. મોર એક સાથે ઘણી ઢેલ સાથે સબંધ બાંધે છે અને તેજ રીતે એક ઢેલ પણ કોઈ એક વિશિષ્ટ મોર ની સાથે નથી જોવા મળતી.
મોરના પ્રજનનકાળની ઋતુમાં તેનાં રંગમાં વિવિધ અને આકર્ષક રંગ ફેરફાર થતાં હોય છે જે ઢેલને આકર્ષવા માટેની કુદરતી બક્ષીશ છે. અર્ધ આકારમાં પાંખો ખોલી, ફફડાવી ને અવાજ કરી ઢેલનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયાસ કરે છે અને ત્યાર બાદ મોર પ્રેમદર્શીય સંપૂર્ણ કળા કરે છે અને ઉત્સાહની હેલી સાથે લાલિત્યપૂર્ણ નૃત્ય કરી માદાને આકર્ષે છે. મોર ભોજન બતાવીને પણ ઢેલને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે.
એક નાના ઝૂંડમાં સામાન્ય રીતે એક મોર અને ત્રણથી પાંચ ઢેલ હોય છે અને ઘણા બધા વિશાળ પ્રદેશમાં તેઓ એક સાથે ચારસો થી પાંચસોની સંખ્યામાં વસતા હોય છે.
મોટા વૃક્ષની ઊંચાઈવાળા ભાગમાં પોતાના માળામાં મોર આછા પીળા રંગના ચારથી આંઠ ઈંડા મોર મૂકે છે જેમાંથી લગભગ ૨૮ દિવસે બચ્ચાં બહાર આવે છે. મુખ્યત્વે ઢેલ ઈંડાની દેખભાળ કરે છે જ્યારે ક્યારેક મોર પણ ઈંડાની રખેવાળી કરતી જોવા મળે છે. ઇંડામાંથી બચ્ચા બહાર આવે તેટલે માતાની પાછળ પાછળ ચાલવા માંડે છે અને બાળપણમાં ઉડતા ઉડતા માતાની પીઠ ઉપર પણ બેસી જાય છે અને માતા આગળ આગળ ચાલતી હોય તે જોવું કૃતુહલ પ્રેરક હોય છે.
ભારતવર્ષ, શ્રીલંકા તેમજ દક્ષિણ એશિયામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. વિશિષ્ટ રીતે તેઓ દુર્ગમ કહેવાય તેવા ૧૮૦૦ થી ૨૦૦૦ મીટરની ઊંચાઈ ઉપર પણ વસેલા છે. તેઓનું વજન આશરે ચારથી છ કિલોગ્રામનું હોય છે. જે પ્રદેશમાં મોર નથી હોતાં ત્યાં પણ તે ખુબજ પ્રચલિત છે. દરેક ભાષામાં તેમના વિષે ગીત, સંગીત અને સાહિત્ય જોવા મળે. ભારત સિવાયના કેટલાક પ્રદેશમાં તેઓ સંપૂર્ણ સફેદ પણ હોય છે અને મોરની વિવિધ પ્રજાતિઓ પણ છે.
ફોટો @દીપક પરીખ
રાષ્ટ્રીય પક્ષી હોવાને કારણે જ્યારે પણ તેનું મૃત્યુ થાય ત્યારે કાયદેસર તેના મૃત્યુની જાણ વનવિભાગને કરવી પડે, તેને તેઓ ભારતનો રાષ્ટ્ર ધ્વજ ઓઢાડી તેની સંપૂર્ણ સન્માન સાથે અંતિમ ક્રિયા કરે. તેને મારવું તે ક્રિમિનલ ગુનો બને છે.
સંસ્કૃત ભાષામાં તેને મયુર કહે છે. તેની સુંદરતાના કારણે બ્રાન્ડના પ્રતીક/ લોગો તરીકે તેના ફોટોનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. અમેરિકા ની NBC ન્યૂઝ અને શ્રીલંકા ની airline તેનો પોતાની ઓળખ તરીકે ડિઝાઇનમાં વ્યાપક ઉપયોગ કરે છે.
૧૯૬૩ ની સાલમાં મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર થયું. ભારતીય સંસ્કૃતિમાં કૃષ્ણ ભગવાનના મુગટમાં વિશિષ્ટ સ્થાન છે અને શિવ ભગવાનનું સહયોગી પક્ષી છે. ઘણા રિતીરિવાજોમાં તેના સુંદર પીંછાનો ઉપયોગ થાય છે અને ઘરના મુખ્ય કક્ષમાં લોકો શુશોભન તરીકે કલાત્મક રીતે ઉપયોગ કરે છે. મધ્યકાલીન ઇતિહાસમાં શૂરવીર યોદ્ધાઓ તેમના સોગંદ લેતા તેવી ઇતિહાસમાં નોંધ છે.
ચોમાસુ બેસવાની તૈયારી હોય અને ધીમે ધીમે વાદળ બંધાવા માંડે તેટલે મોરના ટહુકા સાંભળવા અને તેમની ચહલ પહલ નજરે પડવા માંડે. અવિશ્વમર્ણીય કળા કરીને તેની પીઠ ઉપર વિશાળ પીંછા ફેલાવે અને ધીરેધીરે નૃત્ય કરે, ગોળગોળ ફરે, આગળ આવે અને પાછળ જાય, પાંખોને ઝુલાવતા જાય બસ જોયાજ કરો, જોયાજ કરો! થનગટ કરે ભાઈ, મોર કરે થનગટ એ આ નૃત્યને કહેવાય. લોકનૃત્ય અને બીજા વિવિધ પ્રકારના નૃત્યમાં પણ મોરનું નૃત્ય હોય છે.
ખોરાકમાં તેઓ દાણા પણ ખાઈ લે છે અને નાના સાપ, ઉંદર, ગરોળી વગેરેને પણ ખાઈ લે. શહેરી વિસ્તારોમાં લોકો તેને સીંગ દાણા, ઘઉંની રોટલી કે ભાખરી પણ લોકો ખવડાવતા હોય છે. તેઓ ટામેટા, ફળ, મરચાં વગેરે ખાઈ લે છે. આવી જયાફત ખાસ કરીને ખેતરના વિસ્તારમાં ઉડાવે છે. ખેતર અને બગીચામાં તેઓ ખાઈ જતાં હોય છે અને તેના ઉપદ્રવને કારણે લોકો તેને મારી નાખવા માટે તેને ખોરાક સાથે ઝેર ભેળવી મારી નાખે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જ્યાં મોર વસતા હોય તેવા વિસ્તારમાં સાપ હોતાં નથી.
માનવ વસાહત આપસપાસના વિસ્તારોમાં ક્યારેક કુતરા વગેરેનો ભોગ બને છે અને વન વિસ્તારમાં દીપડા વગેરે જાનવર નો શિકાર બને છે. આવા શિકારીઓથી બચવા સામાન્ય રીતે વૃક્ષની ઉપરના ભાગમાં બેસતાં જોવા મળે છે. તેનું માંસ ખાવા માટે માણસ તેમનો શિકાર કરતાં હોય છે. તેના સુંદર પીંછાના કારણે પણ લોકો તેનો શિકાર કરી દે છે.
શહેરી વિસ્તારમાં તેમનું સરેરાશ આયુષ્ય ૨૩ વર્ષ જેટલું હોય છે જ્યારે જંગલ વિસ્તારમાં આશરે ૧૫ વર્ષનું આયુષ્ય જોવા મળે છે.
ફરી કુદરતના ખોળે, નિરાંત અનુભવો
Love – Learn – Conserve
@જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
Author Save The Sparrows
http://www.facebook.com/jagat.kinkhabwala
Email:jagat.kinkhabwala@gmail.com
Mob No: 9825051214
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…