મહારાષ્ટ્રનું રાજકારણ અને એન્ટિલિયા કેસ દરરોજ નવા વળાંકો લઇ રહ્યું છે. અનિલ દેશમુખને બચાવવાના ચક્કરમાં એનસીપી પ્રમુખ શરદ પવાર એવા ભરાયા કે જવાબ આપવો પણ ભારે પડ્યો હતો. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની સ્પષ્ટતા કરવા દરમ્યાન પવારે જે તર્ક આપ્યા તેના પર આંગળીઓ ઉઠવા લાગી છે.
સોમવારે પત્રકાર પરિષદમાં શરદ પવારે કહ્યું કે 5 થી 15 ફેબ્રુઆરીની વચ્ચે દેશમુખ કોરોનાના લીધે હોસ્પિટલમાં દાખલ થયા હતા, આથી સચિન વઝેને મળવાનો કોઇ પ્રશ્ન જ નથી. પરંતુ મીડિયાએ શરદ પવારને ખુદ અનિલ દેશમુખની ટ્વીટ દેખાડી જેમાં તેઓ 15 ફેબ્રુઆરીના રોજ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ ટ્વીટ પર શરદ પવાર થોથવાઇ ગયા અને બરોબર જવાબ આપી શક્યા નહીં.
પ્રેસ કોન્ફરન્સમાં પવારે દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયાની ચિઠ્ઠી પણ દેખાડી. તેમણે કહ્યું કે કોરોનાના લીધે 5 થી 15 ફેબ્રુઆરી સુધી તેઓ નાગપુરની હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ 16 થી 27 ફેબ્રુઆરી સુધી તેઓ હોમ આઇસોલેટ હતા. તેમણે કહ્યું કે એ સ્પષ્ટ છે કે આરોપ ખોટા છે, એવામાં અનિલ દેશમુખના રાજીનામાનો પ્રશ્ન ઉભો થતો નથી. પરમબીર સિંહના આરોપોથી મહાવિકાસ અઘાડી સરકાર પર કંઇ અસર પડશે નહીં.
બીજી તરફ ભાજપે પવારના આ જુઠને પકડી પાડ્યું છે. ભાજપના આઇટી સેલના પ્રમુખ અતિમ માલવીયાએ અનિલ દેશમુખની 15 ફેબ્રુઆરીની એ ટ્વીટ જાહેર કરી દીધી જેમાં દેશમુખ મીડિયા સાથે ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરનાર સેલિબ્રિટીઝનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ ટ્વીટ પર પવારની પ્રેસ બ્રીફમાં હાજર પત્રકારોએ પૂછયું કે જો દેશમુખ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તો હોસ્પિટલમાં કેવી રીતે હોઇ શકે છે.
પહેલા તો પવારના સ્ટાફે અનિલ દેશમુખ વીડિયો કોન્ફરન્સિંગ દ્ધારા વાત કરી રહ્યા હતા તેમ કરીને વાત પર પડદો પાડવાની કોશિશ કરી પરંતુ આ તર્ક ન ચાલ્યો એટલે પવારે વાતને ફેરવી તોળતા કહ્યું કે દેશમુખના મુદ્દાને હવા આપી અસલી વાત પર પડદો પાડવામાં આવી રહ્યો છે. પવારે કહ્યું કે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક કયાંથી આવ્યા, મનસુખ હિરેનનું મર્ડર કોણે અને કેમ કર્યું એ જાણવું વધુ જરૂરી છે. દેશમુખ પર લાગેલી વસૂલીના આરોપ એટલા અગત્યના નથી.