રાજ્યમાં ફરી એકવાર કોરોનાના આંકડા વધી રહ્યા છે. દિવાળીમાં બજારોની ભીડ અને સોશિયલ ડીસટન્સના ભાવે ફરી એકવાર કોરોના કેસમાં અચાનક વધારો નોધાવ્યો છે. સરકારે આ વાત ને ગંભીરતા થી લઇ કોરોના ને કાબુમાં લેવા માટે અમદાવાદ સ્થિત અસારવા સિવિલ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અમદાવાદ સિવિલ ખાતે હાજર રહ્યા હતા. નીતિન પટેલે સિવિલની મુલાકાત લઇ હોસ્પિટલના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી.
નીતિન પટેલે કહ્યુ કે આગામી 2 દિવસમાં ઝડપથી ટેસ્ટિંગ કરવામાં આવશે. લોકોએ મહામારીથી ચેતવાની જરૂર છે. દર્દીઓની ઝડપી સારવાર માટે વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોરોનાના કેસ વધતા સરકારી જ નહી પણ ઘણી ખાનગી હોસ્પિટલો પણ ભરાઇ ગઇ છે. નવરાત્રિમાં પણ કોરોના મહામારી સામે સફળતા મળી હતી. સરકારે જરૂરિયાત પ્રમાણે સમયસર નિર્ણય કર્યા છે.
રાજ્યમાં છેલ્લા 4 દિવસથી રોજના 1100થી વધુ નવા કેસો નોંધાઇ રહ્યા છે. અમદાવાદ શહેરમાં દિવાળીના દિવસે જ 91 જેટલા કેસ પોઝિટિવ આવતા લોકો માં ચિંતા ઉભી થઈ છે. અમદાવાદમાં દિવાળીની રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી 91 દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. આ દર્દીઓની તાત્કાલીક સારવાર કરવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં નવા વોર્ડ ચાલુ કરવામાં આવ્યા હતા. કાળી ચૌદશની રાત્રે પણ બે નવા વોર્ડ ખોલવામાં આવ્યા હતા.
નીતિન પટેલે કોરોનાના કેસ વધતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક 2 કલાક ચાલી હતી. નીતિન પટેલે બેઠક બાદ કહ્યુ કે સિવિલમાં આપવામાં આવતી સુવિધાથી સંતોષ છે, કોરોનાનું સંક્રમણ વધે તો પહોચી વળવા માટે સક્ષમ છીએ.