ગુજરાતમાં આપના વધતા વર્ચસ્વથી તમામ રાજકીય પક્ષોમાં હલચલ વધી છે ત્યારે આજ રોજ જુનાગઢના લેરીયા ખાતે ‘આપ’ના નેતા ઈશુદાનની કાર પર હુમલો કરવામાં આવ્યો છે.
ત્યારે જૂનાગઢના લેરિયામાં આપની જનસંવેદના યાત્રામાં માથાકૂટ જોવા મળી છે. આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ છે. ઈશુદાન ગઢવીની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જે સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કારની અંદર ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ ઉપસ્થિત હતા. જેમાં ભાજપના કાર્યકરોએ હુમલો કર્યાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આપના આક્ષેપો મુદ્દે ભાજપની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
આ ઘટનાને વખોડી કાઢતા ‘આપ’ સુપ્રીમો અરવિંદ કેજરી વાલે ટ્વીટ કરતા જણાવ્યું છે કે જો ગુજરાતમાં ઇશુદાન અને મહેશ ભાઈ જેવા લોકો પર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવી રહ્યો છે તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ હિંસા એ તમારો ગુસ્સો છે, તમારી હાર છે. લોકોને સારી સુવિધાઓ આપીને તેમનું હૃદય જીતો. વિપક્ષ પર હુમલો કરીને તેમને ડરાવો નહીં. આ લોકો અડગ છે ડરશે નહિ.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં આપનું વર્ચસ્વ વધતું મળી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રના સોમનાથ મહાદેવના દર્શન કરીને અંબાજી સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તા અને સમર્થકો સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા છે.