મહાભારતના સમયગાળા દરમિયાન પાંડવોની રાજધાની ગણાતા હસ્તિનાપુર સાથે એક દંતકથા જોડાયેલી છે કે જે આ બેઠક જીતે છે, તે જ પાર્ટી રાજ્યમાં સરકાર બનાવે છે. આ જ કારણ છે કે આ વિધાનસભાના સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે તમામ રાજકીય પક્ષોએ જાણી જોઈને અહીં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે કે 10 ફેબ્રુઆરીએ પશ્ચિમ યુપીના 11 જિલ્લામાં ચૂંટણી થવાની છે. જેમાં આ હસ્તિનાપુર સીટ પણ સામેલ છે.
આ દંતકથાના કારણે પાર્ટીના સ્થાનિક આગેવાનો સહિત મોટાભાગના કાર્યકરો પોતાના ઉમેદવારોના પ્રચારમાં પુરી તાકાત લગાવી રહ્યા છે. રાજ્યમાં સત્તારૂઢ ભાજપે પણ અહીંથી બે વખત પોતાનો ઝંડો લહેરાવ્યો છે. હાલમાં 2017માં અહીંથી જીતેલા ભાજપના દિનેશ ખટીક ધારાસભ્ય છે. અગાઉ 2012 અને 2007ની ચૂંટણીમાં અહીંથી અનુક્રમે સપા અને બસપાએ વિજયશ્રી જીતી હતી. આ જ કારણ છે કે બંનેએ અહીંથી સરકાર બનાવી હતી.
હિન્દુ માન્યતાઓ અનુસાર હસ્તિનાપુર પાંડવોની રાજધાની હતી. હસ્તિનાપુર ચૂંટણી ક્ષેત્ર 1957માં પ્રથમ વખત અસ્તિત્વમાં આવ્યું હતું. દાવો કરવામાં આવે છે કે ત્યારપછી જે પણ પાર્ટી આ બેઠક જીતી છે, તે જ પાર્ટીએ રાજ્યમાં પણ સરકાર બનાવી છે. ચૂંટણી પંચની માહિતી અનુસાર, 1957માં કોંગ્રેસના બિસંબર સિંહે સીપીઆઈના પ્રીતમ સિંહને ચૂંટણીમાં હરાવ્યા હતા.
કોંગ્રેસે અર્ચના ગૌતમને મેદાનમાં ઉતાર્યા છે અને બસપાએ સંજીવ જાટવને આ સીટ માટે ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે યોગેશ વર્મા SP-RLD ગઠબંધન તરફથી ચૂંટણી મેદાનમાં છે. જ્યારે ભાજપના દિનેશ ખટીકને આ ચૂંટણી સંયોગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ANIને કહ્યું, “જે કોઈ હસ્તિનાપુર જીતે છે, તે યુપીમાં સરકાર બનાવે છે. મને બધાના આશીર્વાદ છે અને યોગી આદિત્યનાથ ફરીથી સરકાર બનાવશે. યોગી જી અને મોદીજીના નેતૃત્વમાં, તમામ વર્ગોને ફાયદો થયો છે, મહિલાઓ પણ સશક્ત બની છે.”