અમદાવાદમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધી રહ્યા છે. શહેરમાં કોરોના વાયરસની પરિસ્થિતિ જોતા કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જયારે જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ શીફા હોસ્પિટલમાં આજે ઓક્સિજનની કમી હોવાના કારણે 22 દર્દીઓની હાલત ગંભીર થઈ હતી જેથી તેઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. જેથી સરકાર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. જો કે, હાલ એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે હોસ્પિટલમાં બેડ નથી, રેસડેસિવીર ઈન્જેક્શન નથી, ઓક્સિજનનો જથ્થો ખૂટી ગયો છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ વચ્ચે દર્દીઓની હાલત કફોડી બની રહી છે. જેના કારણે મોતનો આંકડો પણ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી શીફા હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો હતો જેથી કોરોનાની સારવાર લઈ રહેલા 28 દર્દીઓમાંથી 22ની તબીયત લથડતા તેઓને તાત્કાલિક બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.