રાજકોટઃ પાકિસ્તાન છોડીને ભારતમાં અને તેમા પણ ગુજરાતના વિવિધ શહેરોમાં રહેતા પાકિસ્તાની નિરાશ્રિતોને ભારતીય નાગરિકતા મળી છે. ભારતીય નાગરિકતા મળવાની સાથે હવે તેમને મતાધિકાર પણ મળ્યો છે. આના લીધે તેમની ખુશી બેવડાઈ ગઈ છે.
પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા અનેક લોકો રાજકોટ સ્થાયી થયા છે. તેમા રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં કેટલાય કુટુંબોને ભારતીય નાગરિકત્વ મળી ચૂક્યું છે. તેઓને હવે ઇલેકશન કાર્ડ પણ મળી ગયા છે. તેના લીધે હવે આ પાકિસ્તાની કુટુંબો ભારતીય બન્યા છે. તેઓ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી 2022માં મતદાન કરશે. આ પ્રકારને પહેલી વખત મતાધિકાર મળ્યો હોઈ તેઓમાં આનંદનું વાતાવરણ છે.
પાકિસ્તાનના કરાચીમાંથી રાજકોટ આવેલા માતંગ કુટુંબની સાથે બીજા છ કુટુંબીજનોને મતાધિકાર મળતા તેમણે આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ચૂંટણીકાર્ડ કે મતાધિકાર હવે અમારી સાચી ઓળખ છે. અમે હવે વધારે આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકીએ છીએ. લોકો અમને વધારે સન્માનપૂર્વક જુએ છે. અમે હવે નિશ્ચિતપણે અને બેરોકટોક ભારતમાં ગમે ત્યાં ફરી શકીએ છીએ.
આ રીતે મતદાન કાર્ડનું મહત્વ પોતાની જેમ સ્થળાંતર કરી રાજકોટ આવેલા લોકોને સમજાવતા 22 વર્ષીય યુવતી કહે છે કે મતાધિકાર સાથે યોગ્ય વ્યક્તિ ચૂંટી દેશનું ભવિષ્ય નિર્માણ કરવું આપણા હાથમાં છે. ભારતમાં સ્થાયી થવા અંગે આ યુવતીનું કહેવું છે કે અમને અહીં ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે. અમારી કારકિર્દી માટે ઘણું સારું વાતાવરણ છે.
આ યુવતીએ જણાવ્યું હતું કે હજી બે મહિના પહેલા જ મને વોટર આઇડી કાર્ડ મળ્યું છે. આ સિવાય બીજી એક વ્યક્તિ મિતેશ મહેશ્વરી ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી સન્માનપૂર્વક જીવન વીતાવે છે. તેઓ પણ મતદારન કાર્ડનું મહત્વ સારી રીતે જાણે છે. મતાધિકારની સાથે જ તેમણે તેમની ભારતીયતા સંપૂર્ણ થઈ હોવાનું લાગે છે.
આ સાથે રામજીભાઈ, કિશનલાલ સહિત વસાહતમાં રહેતા અન્ય લોકોને પણ મતાધિકાર મળતા તેઓ ઉત્સાહપૂર્વક પહેલી ડિસેમ્બર 2022ના રોજ યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવાના છે. ચૂંટણી કમિશન ગુજરાતના જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ અને તેમની ટીમ દ્વારા મોટાપાયા પર લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ