સુરત,
દેશમાં સૌપ્રથમ વખત અશ્વનીકુમાર સ્મશાનગૃહમાં સૌર ઉર્જાની મદદથી અંતિમ સંસ્કાર શરૂ થવા જઈ રહ્યું છે. સૌર ઊર્જાનો ઉપયોગ કરીને સ્મશાન ગૃહના તમામ વીજળીનાં સાધનો તેમજ ગેસ ચેમ્બરનું પણ સંચાલન કરવામાં આવશે. સૌર ઊર્જાનાં ઉપયોગને કારણે સ્મશાનગૃહમાં વર્ષે 2400 કિલો વોટ વીજળીની બચત થશે.
શહેરમાં નારાયણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અશ્વનીકુમાર સ્મશાન ગૃહ છેલ્લા કેટલાક વર્ષોથી લાકડાની સાથે ગેસ દ્વારા અંતિમ સંસ્કાર કરી પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. શનિવારથી અશ્વનીકુમાર સ્મશાનગૃહ પર્યાવરણની રક્ષા માટે વધુ એક કદમ ઉઠાવી રહ્યું છે. આશરે 13 લાખથી વધુનાં ખર્ચે સ્મશાનગૃહ ખાતે સોલાર ઊર્જા પ્લાન્ટનું સ્થાપન પણ થઈ ગયું છે.
ગોલ્ડી ગ્રીન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરી દેવામા આવી છે. નારાયણ ટ્રસ્ટ સંચાલિત અશ્વનીકુમાર સ્મશાનગૃહમાં રોજ સરેરાશ 30 થી 35 વ્યક્તિનો અંતિમ સંસ્કાર થાય છે. વર્ષે આશરે 11,000 વ્યક્તિઓના અંતિમ સંસ્કાર અશ્વનીકુમાર સ્મશાન ગૃહમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. સ્મશાન ગૃહનો સંચાલન દાન ઉપર આધારિત હોય છે.
ત્યારે દર મહિને 35 થી 40 હજાર બિલ વીજ કંપનીનું આવતો હતો. જેને ધ્યાનમાં રાખીને તેમજ પર્યાવરણના જતનના આશય સાથે સ્મશાન ગૃહની ગેસ ચેમ્બર બર્નર સહિતના સાધનો સૌર ઉર્જા પર શરૂ કરવા નક્કી કરેલ છે. પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઇ ગયેલ છે અને ટૂંક સમયમાં સ્મશાનગૃહમાં અંતિમ-સંસ્કાર પણ સૌર ઉર્જાના માધ્યમથી શરૂ થઇ જશે.