વડોદરા
વડોદરા પોલીસ વિભાગ દ્વારા શહેરના તમામ ગણેશ મૂર્તિકારોને બોલાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટના પરિપત્ર અનુસાર ૯ ફૂટથી ઉંચી મૂર્તિ કેમ બનાવી તેનો જવાબ માંગ્યો હતો.
તેમજ જો મૂર્તિ બનાવવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની વાત જણાવાઈ હતી. તો બીજી તરફ મૂર્તિકારો અને ગણેશ મંડળો પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા ભેગા થયા હતા.
તેઓનું કહેવું હતું કે, તેઓ ઘણા વર્ષોથી વિશાળ પ્રતિમાઓ બનાવે છે. તો પછી આ વર્ષે કેમ હાઈકોર્ટ નો પરિપત્ર બતાવવામાં આવે છે. જો જાન્યુઆરી મહિનામાં જ પરિપત્રની વાત કરી આદેશ આપ્યા હોત તો અમે ગણેશ મંડળોના ઓર્ડર લેતા જ નહી. હવે જયારે મોટેભાગે મૂર્તિઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો હોય ત્યારે મૂર્તિનો કેવી રીતે નાશ કરાય.
પોલીસે પણ જણાવ્યું હતું કે પરિપત્ર ઘણા સમયથી છે અને સુરસાગર તળાવમાં કામગીરી ચાલતી હોવાથી કુત્રિમ તળાવોમાં વિસર્જનનો પણ પ્રશ્ન ઉભો થયો છે. છેવટે તેમણે આ અંગે ઉપલા અધિકારીઓ સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.