વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ મંદિર કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ જેઓ પૂર્વ કોંગ્રેસ નેતા છે. કહેવાય છે કે કલ્કિ ધામ મંદિર નિર્માણને લઈને પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને પાર્ટી વચ્ચે મતભેદ થયા હતા. તેમજ તેઓએ કોંગ્રેસમાં રહી મોદીના કાર્યોની પ્રશંસા કરતા પાર્ટીમાંથી બહાર કરાયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
પીએમ મોદીએ કર્યું સંબોધન
સંભલમાં કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહ દરમિયાન પીએમ મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સાથે હાજર હતા. પીએમ મોદીએ શિલાન્યાસ સમારોહ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું, “આજે ભક્તિ, લાગણી અને આધ્યાત્મિકતાનો બીજો પ્રવાહ યુપીની ધરતી પરથી વહેવા આતુર છે. આજે પૂજ્ય સંતોની ભક્તિ અને લોકોની ભાવનાથી વધુ એક પવિત્ર સ્થળનો પાયો નાખવામાં આવી રહ્યો છે. મને વિશ્વાસ છે કે કલ્કિ ધામ ભારતીય આસ્થાના બીજા મહાન કેન્દ્ર તરીકે ઉભરી આવશે. આ સાથે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ પોતાના સંબોધનમાં પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી વિદેશીઓને પોતાના બનાવવાનું કામ કરી રહ્યા છે. કેટલાક કમનસીબ નેતાઓ છે જેઓ પોતાના લોકોને પણ અજાણ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ કલ્કી મંદિરનો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કર્યું. પરંતુ શું તમે જાણો છો કે કલ્કિ મંદિર કયા ભગવાન સાથે જોડાયેલું છે અને તેની વિશેષતા શું છે?
મંદિરની વિશેષતા
- કલ્કિ ધામ મંદિર ભગવાન વિષ્ણુના 10મા અવતાર ‘ભગવાન કલ્કિ’ને સમર્પિત છે
- વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવશે, જ્યાં કોઈપણ ભગવાનનું મંદિર તેના અવતાર પહેલા બનાવવામાં આવશે
- મંદિરમાં એક નહીં પરંતુ 10 ગર્ભગૃહ હશે
- મંદિરમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોના દસ અલગ-અલગ ગર્ભગૃહની સ્થાપના કરવામાં આવશે
- મંદિરના બનાવવામાં ખાસ પથ્થરનો ઉપયોગ કરાશે
- સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરના નિર્માણમાં જે ગુલાબી રંગના પથ્થરનો ઉપયોગ કરાયો હતો તે પથ્થરમાંથી જ કલ્કિ મંદિર બનશે
- અયોધ્યાના રામ મંદિરની જેમ આ મંદિરના નિર્માણમાં સ્ટીલ કે લોખંડની ફ્રેમનો ઉપયોગ કરવામાં આવશે નહીં
- મંદિરનું શિખર 108 ફૂટ ઊંચું હશે અને પ્લેટફોર્મ 11 ફૂટ ઊંચું બનાવવામાં આવશે.
- અહીં 68 તીર્થસ્થળોની સ્થાપના કરવામાં આવશે
- લગભગ 5 એકર જમીન પર કલ્કિ ધામ મંદિર બનાવવામાં આવશે
- કલ્કિ ધામને બનાવવામાં લગભગ 5 વર્ષ અથવા તેથી વધુનો સમય લાગી શકે છે
મંદિરના ટ્રસ્ટી આચાર્ય પ્રમોદ કૃષ્ણનો આ ડ્રીમ પ્રોજેક્ટ
કલ્કી ધામ મંદિર કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ કોંગ્રેસની ટિકિટ પર લખનૌથી છેલ્લી વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. કોંગ્રેસમાં તેઓ દિગ્વિજય સિંહ અને સચિન પાયલટ જેવા મોટા નેતાઓના નજીકના ગણાતા હતા. એક સમયે તેઓ પ્રિયંકા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા મંદિરના નિર્માણને લઈને આચાર્ય પ્રમોદ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને આ મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. જેનો વડાપ્રધાને સહર્ષ સ્વીકાર કર્યો હતો. આ પછી કોંગ્રેસ પાર્ટી દ્વારા આચાર્ય પ્રમોદને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કલ્કી ધામ મંદિરના શિલાન્યાસ પ્રસંગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભલ મુલાકાતને રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ pan card/PAN કાર્ડ યૂઝર્સ સાવધાન, સામાન્ય ભૂલો પર આવકવેરા વિભાગ કરી શકે છે દંડ, રાખો ધ્યાન
આ પણ વાંચોઃ Rapecase/જમીનમાં દાટેલું ધન કાઢવાને બહાને તાંત્રિકનો ત્રણ મહિલા પર બળાત્કાર