નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૬થી ૨૧ એપ્રિલ ૬ દિવસની યાત્રા પર સ્વીડન અને બ્રિટેન જશે. જ્યાં તેઓ વેપાર અને રોકાણ સહિત અનેક મહત્વના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ મજબુત બનાવવા પર ભાર આપશે. પોતાની બ્રિટેન યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિટેન સાથે દ્વિપક્ષીય સંબંધ વધુ મજબુત બનાવવા પર ચર્ચા કરશે. આ ઉપરાંત મોદી કોમનવેલ્થ દેશોના નેતાઓના સંમેલનમાં પણ ભાગ લેશે.
વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ નાગરાજુ રાયડુએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાનની આ યાત્રા દરમિયાન ભારત અને બ્રિટેનના સંબંધો મજબુત કરવા પર ચર્ચા થશે. વડાપ્રધાન પોતાની યાત્રાના પ્રથમ પડાવમાં સ્વીડન પહોંચશે છેલ્લા ૩ દાયકામાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સ્વીડન યાત્રા હશે. સ્વીડન યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી દ્વિપક્ષીય બેઠક ઉપરાંત ભારત-નોર્ડિગ સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનનુ આયોજન ભારત અને સ્વીડને મળીને કર્યુ છે.
સંમેલનમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે, સ્વીડનના વડાપ્રધાન ભાગ લેવાના છે. વડાપ્રધાન ૧૬ એપ્રિલે સાંજે સ્ટોકહોમ પહોંચશે. ૧૭ એપ્રિેલે તેઓ ભારત-નોર્ડિક સંમેલન ઉપરાંત ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વેના વડાપ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠક દરમિયાન ભારતમાં સ્કિલ ડેવલોપમેન્ટ, પોર્ટ ડેવલોપમેન્ટ, સ્માર્ટસિટી, ગંગાની સ્વચ્છતા સહિતના મુદ્દા પર ચર્ચા થવાની છે. ભારતને આ દેશો પાસેથી મદદની આશા રહેલી છે. ૧૭ એપ્રિલે સાંજે વડાપ્રધાન મોદી બ્રિટેન પહોંચશે.