બિહારમાં આજે રાજકીય માહોલ ગરમાયો છે. વિધાનસભામાં આજે નીતિશ કુમારનો ફલોર ટેસ્ટ છે. બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભાની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. CM નીતિશ કુમાર સવારે 10 વાગ્યાની આસપાસ વિધાનસભા પહોંચ્યા છે. જ્યાં એનડીએના ધારાસભ્યોએ CM નીતિશ કુમારનું સ્વાગત કર્યું. આ સિવાય ફ્લોર ટેસ્ટ પહેલા બિહારના પૂર્વ સીએમ અને હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)ના નેતા જીતન રામ માંઝી અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તેમજ વિજય કુમાર સિન્હા પણ વિધાનસભા પહોંચ્યા છે. ગત સાંજે નીતીશ કુમારે જેડીયુ નેતા વિજય ચૌધરીના નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જેડીયુના માત્ર 39 ધારાસભ્યો હાજર રહ્યા હતા. કેટલાક ધારાસબ્યો ગેરહાજર રહેતા નીતિશ કુમારની ચિંતા વધી છે. આથી નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકાર માટે આજે બહુમત સાબિત કરવો મોટો પડકાર રહેશે. જેડીયુ ફ્લોર ટેસ્ટ પહેલા પોતાના ધારાસભ્યોને એક રાખવાનો પ્રયાસ કરી રહી છે. જેડીયુએ તેના તમામ ધારાસભ્યોને પટનાની એક હોટલમાંથી શિફ્ટ કરી દીધા છે.
બિહાર વિધાનસભામાં બહુમતનો જાદુઈ આંકડો 122 છે. બિહારમાં નીતિશની આગેવાની હેઠળની એનડીએ પોતાની સાથે 128 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહી છે. જેમાં ભાજપના 78, જેડીયુના 45, હેમના 4 અને એક અપક્ષ છે. જ્યારે તેજસ્વીના નેતૃત્વમાં મહાગઠબંધન પાસે 115 ધારાસભ્યો છે એટલે કે બહુમતીના આંકડા કરતા 7 બેઠકો ઓછી છે. આરજેડી પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. આરજેડીના તમામ ધારાસભ્યો બે દિવસથી તેજસ્વી યાદવના ઘરે રોકાયા છે. મોડી રાત્રે લાલુ યાદવ પણ તેજસ્વીના ઘરે પહોંચ્યા અને ધારાસભ્યો સાથે વાતચીત કરતા જોવા મળ્યા. છેલ્લા 2 દિવસથી આરજેડીના તમામ ધારાસભ્યો તેજસ્વી યાદવના ઘરે રોકાયા છે.
બિહાર વિધાનસભામાં આજે લાવવામાં આવેલો પહેલો પ્રસ્તાવ સ્પીકર અવધ બિહારી ચૌધરીને હટાવવાનો છે. અવધ બિહારીએ બંધારણને ટાંકીને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ના પાડી દીધી છે. JDU જાણે છે કે RJD ક્વોટાના અવધ બિહારી ચૌધરી પ્રમુખ હોવાથી બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવો તેના માટે આસાન નહીં હોય. પૂર્વ સાંસદ આનંદ મોહનના પુત્ર અને આરજેડી ધારાસભ્ય ચેતન આનંદના ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. એ જોતા લાગે છે કે બિહારમાં આજે મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ શકે છે. નીતિશ કુમારને આશંકા છે કે આરજેડી ક્વોટાના વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી ફ્લોર ટેસ્ટ દરમિયાન મોટો ખેલ કરી શકે છે. આવી સ્થિતિમાં JDU અને BJP તેમને ફ્લોર ટેસ્ટ પહેલા હટાવવા માંગે છે.
વિધાનસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ શક્ય છે. નીતિશ કુમારના NDA માં જોડાણ બાદ બિહારમાં તેજસ્વી યાદવનો પ્રચાર વધ્યો છે. ઠેર ઠેર તેજસ્વીના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પટનાની હોટલમાં રોકાયા છે જ્યારે જેડીયુના ધારાસભ્યો પણ પટનાની હોટલમાં રોકાયા છે. જેડીયુના નેતા નીરજ કુમારે કહ્યું છે કે બહુમતી એનડીએના પક્ષમાં રહેશે. સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે અને તેમણે ખુરશી છોડવી પડશે અને ડેપ્યુટી સ્પીકર તેની અધ્યક્ષતા કરશે.
આ પણ વાંચો:પદ્મશ્રી એવોર્ડ મેળવ્યા પહેલા જ પંડિત લક્ષ્મણ ભટ્ટ તૈલાંગનું થયું અવસાન; જાણો કોણ હતા આ સંગીતકાર
આ પણ વાંચો:ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં વધી રાજકીય ઉથલપાથલ, RJDએ તેના ધારાસભ્યોને..