શ્રીનગર,
જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર થયેલ હુમલાને લઈને સેનાનું ઓપરેશન હજી યથાવત છે, ત્યારે બીજી બાજુ શ્રીનગરમાં પણ આતંકીઓએ એક હુમલાનો પ્રયત્ન કર્યો હતો, જો કે આ હુમલાના પ્રયત્નને સીઆરપીએફની ટીમે નિષ્ફળ બનાવ્યો છે. સોમવારે વહેલી સવારે શ્રીનગરના કરણનગરમાં એકે-૪૭થી સજ્જ બે આતંકીઓ આર્મી કેમ્પ તરફ આગળ વધી રહ્યા હતા, જો કે સીઆરપીએફે તેમને જોતા જ ફાયરીંગ શરુ કર્યુ હતું, જેથી આતંકીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હવે આ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરુ કરાયુ છે.
આતંકીઓએ આ નિષ્ફળ હુમલાનો પ્રયત્ન આજે સવારે ૪-૩૦ વાગ્યે કર્યો હતો. શ્રીનગરમાં અત્યારે તીવ્ર હિમવર્ષા થઈ રહી છે, જેનો ફાયદો ઉઠાવી આતંકીઓ ભારતને મોટાપાયે નુકશાન પહોંચાડવાની ફિરાકમાં છે. આતંકીઓનો આ નિષ્ફળ પ્રયત્ન શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલ નજીક આવેલ આર્મી કેમ્પ પર કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક હોસ્પિટલ પર પણ હુમલો થયો હતો. જેમાં આતંકીઓએ પોતાના એક સાથીને ભગાડી લઈ ગયા હતા. હોસ્પિટલ પાસે જ સીઆરપીએફની ૨૩મી બટાલિયનનુ હેડક્વાર્ટર આવેલ છે.
આતંકીઓના પ્રયત્ન અંગે સીઆરપીએફ આઈજી રવિદીપ શાહીએ જણાવ્યુ હતું કે, અમે જેવા બે આતંકીઓ અંગે માહિતી મેળવી અમારી ક્વીક રિસ્પોન્સ ટીમ અને જમ્મુ-કાશ્મીર પોલીસે કામ શરુ કરી દીધું હતું. જો કે આતંકીઓ તરફથી કોઈ ફાયરીંગ કરવામાં આવ્યુ નથી. સીઆરપીએફે ફાયરીંગ કરતા જ તેઓ ભાગી છૂટ્યા હતા. અત્યારે આ આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
મહત્વનુ છે કે, શનિવારે સવારે જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. જેમાં અત્યાર સુધી ૫ જવાન શહિદ થયા છે, જ્યારે ૩ આતંકી ઠાર થયા છે.